નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના સભ્ય તથા ભારત સરકારના સચિવ અને હાઇકોર્ટના જજ ડૉ.અફરોઝ અહમદના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે “ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા” સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લાની પર્યાવરણ યોજનાની કામગીરી બાબતે સમીક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં અધ્યક્ષ ડૉ.અફરોઝ અહમદએ જણાવ્યું હતું કે, પર્યાવરણ એ આપણી ધરોહર અને ધર્મ છે. પર્યાવરણનું સંવર્ધન કરવું એ આપણા સૌ કોઈની જવાબદારી બને છે. આવનાર પેઢીનું ભવિષ્ય પર્યાવરણને આધિન છે. કુદરતી સંસાધનો લોકોની આજીવિકાનું સાધન છે. આજે ગુજરાતમાં લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ નિવાસ કરે છે. પેસ્ટીસાઈડનો ઉપયોગ ટાળવો જોઈએ તથા જંગલોમાં વધારો થાય તે મુજબ કામ કરવું જોઈએ. ખેડૂતો વધુમાં વધુ વૃક્ષો વાવે અને તેનું સંવર્ધન કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. વિકાસ અને પર્યાવરણ સાથે ચાલે તે દિશામાં કામ કરવું જોઈએ. બોર અને કુવા રિચાર્જ, વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર, એન્વાયરમેન્ટ માટે ફંડિંગ તથા પાણીના તળ ઊંચા આવે તે દિશામાં કામ કરવું જોઈએ. “ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા” હેઠળ જિલ્લામાં શ્રેષ્ઠ કાર્યો થઈ રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાની પર્યાવરણ સબંધી પ્રાથમિકતાઓ, પડકારો અને નિવારણ તથા આયોજન બાબતે વિગતવાર ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને કચરાનું વ્યવસ્થાપન, જૈવ વિવિધતા, તળાવો અને નદીઓનું સંરક્ષણ તેમજ કાયદાકીય પાલન માટે લેવામાં આવેલા પગલાંઓની સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં સોલિડ વેસ્ટ, ડોર ટુ ડોર કલેક્શન, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, C & D વેસ્ટ મેનેજમેન્ટ, બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલીટી વેસ્ટ મેનેજમેન્ટ, વોટર ક્વોલીટી મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર મેનેજમેન્ટ, માઈનીંગ એક્ટિવિટી મેનેજમેન્ટ પ્લાન સહિતના મુદ્દાઓ પર વિગતવાર માહિતી રજૂ કરાઈ હતી.

