નવી દિલ્હી : દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં આવેલા દિલ્હી મેટ્રો સ્ટાફ ક્વાર્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં પતિ, પત્ની અને એક માસૂમ બાળકનું દુઃખદ મોત થયું છે. ત્રણેયના મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને સવારે 2:39 વાગ્યે DMRC ક્વાર્ટરમાં ઘરવખરીની વસ્તુમાં આગ લાગવાની જાણ મળી હતી, ત્યારબાદ છ વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ પાંચમા માળે લાગી હતી. જ્યારે ફાયર ફાઇટર પહોંચ્યા ત્યારે તેમને ત્રણ લોકોના મૃતદેહ બળીને ખાખ થયેલા જોવા મળ્યા.
મૃતકોની ઓળખ અજય (૪૨), નીલમ (૩૮) અને જાન્હવી (૧૦) તરીકે થઈ છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
આ સમગ્ર ઘટના દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં બની હતી. ડીએમઆરસી ક્વાર્ટર્સ મજલિસ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે આવેલા છે. એક પતિ, પત્ની અને એક બાળકનું બળી જવાથી મોત થયું હતું.
ડિસેમ્બર 2025 ના પહેલા અઠવાડિયામાં, દિલ્હીના ટિકરી કલાનમાં એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. 31 વર્ષીય પુરુષ અને તેની પત્નીનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ વિનીત અને તેની પત્ની રેણુ તરીકે થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી હતા. તેમને બે પુત્રો છે, જેની ઉંમર 10 અને 8 વર્ષ છે. પતિ-પત્ની સાથે દુકાન ચલાવતા હતા.
એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે દુકાનમાં આગ લાગી ત્યારે પતિ-પત્ની બહાર નીકળી શક્યા ન હતા અને અંદર ફસાઈ ગયા હતા. તેમનું મૃત્યુ ગૂંગળામણથી થયું હતું.

