ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહર ફરી સક્રિયઃ ઓનલાઈન ફંડથી બનાવશે મુખ્યાલય : જેહાદ માટે ઝંખતા લોકો માટે નવા રસ્તા ખુલશેઃ મસૂદ અઝહર દ્વારા ફંડ માગવાનું અભિયાન શરૂ થયું છે
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય સૈન્ય દળોએ ઓપરેશન સિદૂર દરમિયાન હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આમાં કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર હેડકવાટર પણ સામેલ હતું. હવે સમાચાર છે કે આ આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝહરે મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ઝુંબેશ શરૂ કરી છે અને તેના માટે ઑનલાઈન ભંડોળ એકત્ર કરી રહ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જમાત દ્વારા એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનના બહાવલપુરમાં સુભાન અલ્લાહ મસ્જિદનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે. સુભાન અલ્લાહ મસ્જિદ જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ બધાએ આ માટે સાથે મળીને કામ કરવું જોઈએ અને પૈસા એકઠા કરવા જોઈએ. અને કોઈને ખબર ન હોવી જોઈએ કે કોણે કેટલું દાન આપ્યું.મસૂદ અઝહરે આ પોસ્ટમાં કહ્યું છે કે આ અભિયાનથી જમીનના ઘણા ભાગો સ્વર્ગ બની જશે, શહીદ મસ્જિદો ફરી બનશે અને તેમનો વૈભવ પાછો આવશે. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ‘જિહાદ‘ માટે ઝંખતા લોકો માટે નવા રસ્તા ખુલશે.
૨૨ એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા બાદ, ભારતીય સેનાએ ૬ અને ૭ મેની રાત્રે ઑપરેશન સિદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ૨૨ મિનિટના આ ઓપરેશનમાં, ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓનો નાશ કર્યો. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ હેડકવાટર સુભાન અલ્લાહ મસ્જિદ હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાબલપુરમાં સ્થિત, આ મસ્જિદ જૈશ-એ-મોહમ્મદનું સૌથી મહત્ત્વપૂર્ણ આતંકવાદી કેન્દ્ર હતું, જે ૧૫ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તે પુલવામા હુમલા જેવા આતંકવાદી હુમલાઓનું આયોજન અને તાલીમ આપવાનો ગઢ રહ્યો છે.

