લાખણી તાલુકાના ગેળા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા સતત ભારે વરસાદના કારણે બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક ફરી ઊગી નીકળ્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે કે “ખેડૂત ફરી એક વખત કુદરત સામે લાચાર બની ગયો છે.” ગ્રામજનોનું કહેવું છે કે વરસાદી પાણી માત્ર ખેતરોમાં નહીં પણ જીવનમાં પણ નિરાશા લઈ આવ્યું છે. અનેક ખેડૂતોનું ખાતર, બિયારણ, મજૂરી પર ઉધાર ચાલતું હોય છે. આવા સમયમાં પાકનો નાશ થવાથી તેઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યાં છે. તેઓની માંગ છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાનના આધારે સહાય જાહેર કરવામાં આવે. જેથી ઉનાળુ સિઝનની નિષ્ફળતા ભરપાઈ થઈ શકે. અને ખેડૂતો ચોમાસુ વાવેતર કરી શકે.અન્ય ગામોમાં પણ બાજરીનો પાક નાશ પામ્યો છે ઘાસચારો બગડી ગયો છે. ત્યારે સરકાર માનવીય અભિગમ દાખવીને પણ સહાય કરે તે સમયનો તકાજો છે.


