શિહોરી કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું
ઓગડ તાલુકાના ઉણ ગામે પ્રેમલગ્નના મુદ્દે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે નોંધાયેલા ગુનામાં શિહોરી જ્યુડિશિયલ કોર્ટે પાંચ આરોપીઓને સોમવાર સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ ઘટનાને લઈને થરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૨૬૦૨૯૦/૨૦૨૬ હેઠળ બી.એન.એસ.ની કલમો 189 (2), 189 (3), 191(2), 191 (3), 118 (1), 109 (1), 61(2), 324 (5) સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં 16 નામજોગ આરોપીઓ ઉપરાંત આશરે 1000 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો હતો.
રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના જણાવ્યા મુજબ ઘટનાના સમયે લગભગ 35 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.ત્યારબાદ આજે (20 માર્ચ, 2026) પાંચ આરોપીઓને શિહોરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીઓમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી, શીતલ ગિરધરભાઈ પટેલ, ભારમલ જેવતાભાઈ ચૌધરી, નરેશભાઈ ખેતાભાઈ ચૌધરી અને વિજય શંકરભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઘટનામાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા તેમજ મોટા પાયે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.આરોપીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.કોર્ટ પરિસરમાં આરોપીઓના સગા-સંબંધીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો, જેને કારણે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.રિમાન્ડ મળ્યા બાદ આરોપીઓને ડીસા પીઆઈ મેહુલ કોટવાલની હાજરીમાં પોલીસ વાન મારફતે થરા લઈ જવામાં આવ્યા હતા.

