બિનલાયકાત ધરાવતા અધ્યાપકો, દર્દીઓ વિનાની હોસ્પિટલ અને ગેરકાયદે એડમિશન જેવી ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ : ગત વર્ષે પણ માન્યતા રદ કરાઈ હતી
રાજકોટમાં એક વિદ્યાર્થીના આપઘાત બાદ બી.એ. ડાંગર હોમિયોપેથીક કોલેજ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હોમિયોપેથી કાઉન્સિલ (NCH) એ કોલેજની ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક સત્ર માટેની માન્યતા રદ કરી દીધી છે, કારણ કે તપાસમાં અનેક ગંભીર બેદરકારીઓ અને ગેરરીતિઓ સામે આવી છે.
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીના આપઘાત બાદ મેડિકલ કાઉન્સિલની ટીમે ૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ કોલેજની તપાસ કરી હતી. આ તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું કે કોલેજમાં લાયકાત વગરના અધ્યાપકો ભણાવતા હતા અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલમાં દર્દીઓ પણ નહોતા. આ ઉપરાંત, કોલેજમાં ગેરકાયદેસર રીતે એડમિશન આપવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.તપાસ દરમિયાન, ટીમે નોંધ્યું કે ૩ સપ્ટેમ્બરે ૨૪૫ દર્દીઓની ઓપીડી (OPD) નોંધાઈ હતી, પરંતુ ૪ સપ્ટેમ્બરે એક પણ દર્દી દાખલ થયેલો નહોતો, જે શંકાસ્પદ છે. વધુમાં, હોસ્પિટલના એક્સ-રે ટેક્નિશિયનને એક્સ-રે મશીન ચલાવતા પણ આવડતું નહોતું. પેથોલોજી વિભાગમાં પણ યોગ્ય રીતે પરીક્ષણો કરવામાં આવતા ન હતા.
અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કોલેજ જિલ્લા ભાજપના મહામંત્રી ભરત મેતાના ભાઈ જનક મેતાની હોવાથી અનેક વિવાદો છતાં ભૂતકાળમાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. ગયા વર્ષે પણ NCH દ્વારા આ કોલેજની માન્યતા રદ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે રૂપિયાના જોરે આ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો, તેવી વાતો લોકોમાં ચર્ચાય રહી છે. આ નવો આદેશ કોલેજની અનિયમિતતાઓ પર એક મોટી કાર્યવાહી છે.

