મહેસાણા મનપાના નિર્ણય સામે સ્થાનિક વેપારીઓ લાલઘૂમ : મૌનરેલી યોજી કલેકટરને આવેદન આપ્યું

મહેસાણા મનપાના નિર્ણય સામે સ્થાનિક વેપારીઓ લાલઘૂમ : મૌનરેલી યોજી કલેકટરને આવેદન આપ્યું

નો પાર્કિંગ ઝોન જાહેર કરતાં ધંધા રોજગાર ઠપ્પ થઈ જશે

મહેસાણામાં વર્ષો જુના તોરણવાળી માતાનો ચોક એટલે શહેરનું હૃદય ગણાય છે. જ્યાં મહેસાણા શહેરનું મુખ્ય બજાર આવેલું છે. વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી હજારો લોકોનો અહીં ખરીદી કરવા માટે ભારે ઘસારો જોવા મળતો હોય છે.  તેવામાં તોરણવાળી ચોકની ફરતે અલગ અલગ સાત રસ્તાઓ જોડાયેલા હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની જતી હોય છે.તોરણવાળી મુખ્ય બજાર સાથે જોડાયેલા શહેરના સાત રસ્તાઓ વર્ષોથી સાંકડા હોવાથી બજારમાં ચારેય બાજીએથી ચક્કાજામ ટ્રાફિક સર્જાતો હોય છે. તેવામાં મનપાના મન વગરના અધિકારીઓને એકાએક સપનું આવ્યું હોય તેમ વિકાસના નામે હવે શહેરની રોનક સમાન તોરણવાળી ચોકને હેરિટેજ લુક આપી તની કાયા પલટ કરવા જઈ રહી છે. નિત નવા ગતકડાં વચ્ચે મનપાનો વિકાસ ખરેખર ગાંડો થઈ ગયો હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ગત થોડા દિવસોથી શહેરની મધ્યમાં આવેલા તોરણવાળી ચોકને હેરિટેજ લુક આપવાની કામગીરીમાં જોતરાયેલા મનપાએ ત્યાંથી આવન જાવનનો રસ્તો બંદ કરવાનો નિર્ણય લઈ વિકાએ કાર્યને પ્રગતિ પર લાવવા રોડની બેય બાજીએ બેરીકેટ મૂકી રસ્તો બંદ કરી દેવામાં આવ્યો છે. તેવામાં  આ બજારમાં ખરીદી કરવા આવતા નાના મોટા વહેપારીઓ તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથોસાથ સ્થાનિક વેપારીઓને પણ પોતાના વાહન પાર્ક કરવાની મોટી માથાકૂટ થઈ જવા પામી છે. જેના કારણે તોરણવાળી બજારમાં મનપા દ્વારા ‘હેરિટેજ લુક’ આપવાના નામે બેરીકેડ મૂકી રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓ લાલઘૂમ થઈ ગયા છે. આ બાબતે વિરોધ દર્શાવવા માટે મુખ્ય બજારના વેપારીઓએ બપોર સુધી પોતાના ધંધા રોજગારને સંપૂર્ણપણે બંધ કરી વિરોધ પ્રગટ કરતાં વેપારીઓએ મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

મહાનગરપાલિકાના વિકાસના કારણે ધંધો-રોજગાર, પાર્કિંગ સહિતની સમસ્યાઓ વધુ વણસી હોવાનો વેપારીઓએ ગંભીર આક્ષેપ મનપા પર કર્યો છે. વેપારીઓનું સ્પષ્ટ માનવું છે કે આ વિકાસ માત્રને માત્ર નાના મોટા વેપારીઓના ભોગે જ થઈ રહ્યો છે અને જ્યાં સુધી હેરિટેજ લુકની કામગીરી પુરી નહીં થાય ત્યાં સુધી તેમના વેપાર ધંધા સદંતર ઠપ્પ થઈ જશે. મનપાના આવા ગેરવાજબી નિર્ણય સામે રોષે ભરાયેલા તોરણવાળી વેપારી મંડળ ,

મ્યુનિસિપલ સિંધી માર્કેટ વેપારી એસોસિએશન તેમજશ્રી તોરણવાળી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગતરોજ સવારે મૌન રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તોરણવાળી ચોકનાં તમામ વેપારીઓએ માંગકરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ રસ્તો બંધ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, જેથી તેમના ધંધા-રોજગારને નુકસાન ન થાય. બપોર સુધી ધંધા બંધ રાખી વેપારીઓએ મનપાની નીતિ સામેં વિરોધ નોંધાવ્યો હતો

વેપાર ધંધાની સાથે સાથે લોકલ વાહનવ્યવહાર ચાલુ રહે તે હેતુથી વેપારીઓની માંગ સાથે કલેકટર અને મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરી છે કે મુખ્ય બજારનો આ રસ્તા ચાલુ રહે, પાર્કિંગની વ્યવસ્થા ચાલુ રહ અને જે સાથે સાત રસ્તા ચોકને મળે છે  ત્યાંથી જે એક્સેસ થાય છે એ ચાલુ રહે એવી વિનંતી કરી છે. આ બાબતે વેપારી મંડળે જણાવ્યું હતું કે જો મનપા દ્વારા અમારી માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે શહેરી વિકાસના દરવાજા ખખડાવીશું અને જો કદાચ ત્યાં પણ ન્યાય નહીં મળે તો અમે હાઇકોર્ટના દરવાજા ખખડાવીશું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *