ખાનપુર નજીક રિક્ષાનો જોઈન્ટ તૂટતા દુર્ઘટના, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત
પાટણ-હારીજ હાઇવે પર ખાનપુર ગામ નજીક શુક્રવારે એક લોડિંગ રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ચંદ્રમાણા ગામના એક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ રિક્ષાનો જોઈન્ટ અચાનક તૂટી ગયો હતો. જેના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા જોરદાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર હનુજી રાઠોડ (રહે. ચંદ્રમાણા, પાટણ) નામના વ્યક્તિનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું.રિક્ષામાં સવાર અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સેવા ઘટના સ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે પાટણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતક હનુજી રાઠોડ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ મોકલી આપવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

