૧૦ જુલાઈ સુધીમાં રજિસ્ટ્રી નહીં થાય તો પી.એમ.કિસાન.ના હપ્તાથી વંચિત ખેડૂતો રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત છે. આમ છતાં અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો નોંધણી કરાવી ચુક્યા છે.ખેડૂતો ૧૦મી જુલાઇ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પી.એમ.કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે.જ્યારે આગામી ૧૦મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનોનો લાભ નહીં મળી શકે. સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજિસ્ટ્રેશન જરૂરી છે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩,૧૦,૫૩૦ લાખ જેટલા એકટીવ ખેડૂત ખાતેદારો કે જેઓ પી.એમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે.જેમાં પી.એમ.કિસાન યોજનાનો 19 મો હપ્તો જમા થયાં હોય એવા ૩,૯૮,૯૧૯ ખેડૂતોએ લાભ લીધો છે.બનાસકાંઠા જિલ્લામાં ૮૮૩૮૯ હજાર જેટલા ખેડૂતોએ હજુ ફાર્મર રજીસ્ટ્રી કરાવી નથી. આગામી ૧૦મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે બનાસકાંઠા જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવા અનુરોધ પણ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, ફાર્મર ૨જિસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવાના માટેનો છે.

