ખેમાણા ટોલ નાકાનો વિવાદ વકર્યો : ટોલ મુક્તિની માંગ ફગાવી દેતા ખેડૂતો લાલઘૂમ

ખેમાણા ટોલ નાકાનો વિવાદ વકર્યો : ટોલ મુક્તિની માંગ ફગાવી દેતા ખેડૂતો લાલઘૂમ

ટોલ મુક્તિની માંગ સાથે 18મી ઓગસ્ટે ધરણાં: ઢોર ઢાંખર છોડી મુકવાની ચીમકી

બાલારામ જતા હિંદુઓ માટે જજીયાવેરા સમો ટોલ ટેક્ષ નહિ ચુકવવાની ચીમકી

પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા ટોલનાકા પર સ્થાનિકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી છે. જેની સામે ટોલનાકાના મેનેજરે સ્થાનિકોની માંગણી ફગાવી દેતા વિવાદ વધુ વકર્યો છે. પાલનપુર પાસે ખેમાણા ટોલનાકા આસપાસના 20 કિલોમીટરના અંતરમાં આવતા ગામડાઓમાં વસતા ગ્રામજનો ટોલ મુક્તિની માંગ કરી રહ્યા છે. જેને લઈને રવિવારે લક્ષ્મણપુરા ખાતે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં અસરગ્રસ્ત 27 જેટલા ગામના ખેડૂતોની બેઠક યોજાઇ હતી. જેમાં ટોલ ટેક્ષ સામે વિરોધ જતાવતા આંદોલન ની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. જેમાં ટોલ મુક્તિની માંગ સાથે 18 મી ઓગસ્ટે ધરણાં યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

જોકે, ખેડૂતો અને સ્થાનિકોની ટોલ મુક્તિ અંગેની માંગ સંદર્ભે ટોલનાકાના પ્રોજેકટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપુતે ખેડૂતો સહિત સ્થાનિકોની ટોલ મુક્તિની માંગણીને ફગાવી દીધી હતી. તેઓએ ટોલ મુક્તિની કોઈ જોગવાઈ ન હોઈ સ્થાનિકો માટે માસિક રૂ.100 નો પાસ કઢાવવો ફરજીયાત હોવાનું જણાવ્યું હતું.જોકે, ટોલનાકાના મેનેજરની સ્પષ્ટતા બાદ સ્થાનિકો સહિત ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે ખેડૂતોએ ટોલનાકા સામે વિરોધ જતાવતા છેલ્લા 18 વર્ષથી કોઈ કનડગત નહતી. પરંતુ વર્તમાન મેનેજરના સમયમાં કનડગત વધી હોવાનું જણાવી કિસાન સંઘના પ્રમુખ માવજી ભાઈ લોહએ ટોલ મુક્તિની માંગ સાથે 18 મી ઓગસ્ટે ધરણાં યોજવા સાથે જરૂર પડે ટોલનાકા પર પશુઓ છોડી મુકવાની ચીમકી ઉચ્ચારી હતી.જોકે, યાત્રાધામ બાલારામ જતા પણ ટોલટેક્ષ ભરવો પડે છે. જેને લઈને આવો જજીયાવેરા જેવો ટેક્ષ નહિ ભરવાની ચીમકી સાથે ડો.રવિ સોની સહિતના સ્થાનિકો એ પણ લડત આપવાનો હુંકાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિકો અને ખેડૂતોની ટોલ મુક્તિની માંગ સામે ટોલનાકાના મેનેજમેન્ટના વલણને લઈને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

હિંદુઓ માટેનો જજીયાવેરો નહિ ભરવાની ચીમકી

પવિત્ર શ્રાવણ માસમાં બાલારામ મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ જતા હિંદુ યાત્રિકો પાસેથી પણ ખેમાણા ટોલનાકા પર ટોલ ટેક્ષ વસુલવામાં આવે છે. હિન્દુત્વ વાદી ભાજપ સરકારના રાજમાં ટોલટેક્ષના પાપે મહાદેવના દર્શન પણ મોંઘા બન્યા છે. ત્યારે મોગલ શાસનની યાદ તાજી કરાવતા જજીયાવેરા સમાં ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ટેક્ષ નહિ ભરવાની ચીમકી સાથે 18 મી ઓગસ્ટે ટોલનાકાવાળાઓને તેમની ઓકાત બતાવી દેવાની ચીમકી ડો.રવિ સોની સહિતના સ્થાનિકોએ ઉચ્ચારી હતી.

ઢોર ઢાંખર છોડી મુકવાની ચીમકી

ખેડૂતોએ આપેલી જમીનમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ બન્યો છે. ત્યારે ખેડૂતો પાસેથી ટોલ ટેક્ષ વસુલવાની નીતિ સામે ખેડૂતોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમારે મહિને એકાદ-બે વાર પાલનપુર જવાનું થતું હોઈ ટોલ ટેક્ષ કે માસિક પાસ પણ અમને પરવડે તેમ ન હોઈ ટોલ મુક્તિની માંગ સાથે 18 મી ઓગસ્ટે ધરણાં યોજવામાં આવશે. તેમ છતાં માંગણી નહિ સંતોષાય તો બહેનો સાથે આંદોલનને ઉગ્ર બનાવતા જરૂર પડે ટોલનાકા પર ઢોર ઢાંખર છોડી મુકવાની ચીમકી કિસાન સંઘના પ્રમુખ માવજીભાઈ લોહ એ ઉચ્ચારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *