ભલગામ ટોલનાકા પાસે કાંકરેજ ધારાસભ્યના ‘રોડ નહીં તો ટોલ નહીં’ ના નારા સાથે ધરણાં

ભલગામ ટોલનાકા પાસે કાંકરેજ ધારાસભ્યના ‘રોડ નહીં તો ટોલ નહીં’ ના નારા સાથે ધરણાં

ધારાસભ્ય અને કાર્યકરોની અટકાયત : પોલીસ લોકોનો અવાજ દબાવવામાં સક્રિય રહી

તગડો ટોલ ટેક્સ વસૂલવા છતાં સારા રોડની સુવિધા ન મળતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો

કંડલા દિલ્હી નેશનલ હાઇવે નંબર ૨૭ પર આડેસરથી ડીસા સુધી ત્રણ ટોલનાકા ઊભાં કરીને રીતસરની ઉઘાડી લૂંટ સામે વાહન ચાલકોને સારા રોડની સુવિધા મળવાને બદલે ઠેર ઠેર ખાડાથી રોડ સાવ બિસ્માર બની ગયો છે અને રખડતાં પશુઓના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો થતા નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત કે અકાળે મોતના મુખમાં ધકેલાઈ રહયા છે.

કાંકરેજ -ઓગડ તાલુકાના ભલગામ ટોલનાકાથી થરા નગરમાં ભાભર ત્રણ રસ્તા સુધી અને ભાભર ત્રણ રસ્તાથી પોલીસ સ્ટેશન સુધી એકથી દોઢ કી.મી. લાંબો ઓવરબ્રિજ બેથી એકવીસ ફૂટ ઊંચો થરા નગરમાંથી પસાર થાય છે. જેની બંને સાઇડમાં ફૂટપાથ ગટર સાથે સર્વિસ રોડ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવ્યો છે.નેશનલ હાઇવે ઓથોરિટી દરરોજ તગડો ટોલટેક્ષ ઉઘરાવે છે પણ આ બંને સર્વિસ રોડની ગટરોની સફાઇ કે રોડની મરામત નહી થતાં ઠેર ઠેર મસ મોટા મોટા ખાડા પડી ગયા છે. જેમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જતાં રોજબરોજ આ ખાડામાં વાહનો પડે છે લોકો પણ ઈજાગ્રસ્ત થાય છે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ પણ આ ખાડાનો ભોગ બન્યા હતા. હાલમાં કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે કોંગ્રેસના અમરતજી ઠાકોર ચુંટાયેલા છે.

તેમણે આ વિકટ પરિસ્થિતિની રાજ્ય સરકારમાં, નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ અને જિલ્લા તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બાબતે કોઈ જ કાર્યવાહી નહી થતાં લોકજુવાળને ધ્યાનમાં રાખી ધારાસભ્ય અમરતજી ઠાકોરે કોંગ્રેસ આગેવાનો કાર્યકરો અને આમ જનતા સાથે ભલગામ ટોલ નાકા પાસે ‘રોડ નહી તો ટોલ નહી’,  ‘પ્રજાને લૂંટવાનું અને અદાણીને વેચવાનું બંધ કરો’ ના બેનરો સાથે શાંતિપૂર્વક બેસીને સૂત્રોચ્ચાર ચાલુ કર્યા હતા.આ સમયે પોલીસ કાફલો પોલીસ વાન સાથે તૈયાર જ હતો. ધારાસભ્ય અને ધરણાં કરવા બેઠેલા લોકોએ રોડ પર બેસી વાહન વ્યવહાર બંધ કરાવવાનો પ્રયત્ન કરતા પહેલેથી જ એકશન મૂડમાં રહેલી પોલીસે ધારાસભ્ય અને સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડી લઈ જવા બળજબરી પૂર્વક પ્રયાસ કરી તમામની અટકાયત કરવામાં આવી હતી.જો કે બાદમાં તમામનો છુટકારો થયો હતો પરંતુ રોડ મુદ્દે લોક જુવાળ જોતા આ મુદ્દો આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શકયતા છે.

આનાથી જલદ કાર્યક્રમો કરીશું : ધારાસભ્ય

રોડ મુદ્દે ફાટી નીકળેલા જનતા જુવાળ વચ્ચે પોલીસ વાનમાં બેસતા પહેલા ધારાસભ્ય અમરતજી ઠાકોરે જણાવ્યું હતું કે આ તાલુકાની જનતાનો જુવાળ છે .રોડ નહી તો ટોલ નહી, પ્રજાને લૂંટવાનું અને અદાણીને વેચવાનું બંધ નહી થાય તો આનાથી પણ જલદ કાર્યક્રમો આપીશું. લોકોની સુખાકારીમાં સરકાર અને તંત્ર સહભાગી બનવાને બદલે એક તરફી ટેક્ષ વેરા ઉઘરાણાં ચાલુ રાખશે  તે ક્યારેય સહન નહીં કરીએ.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *