સિક્કિમના નાથુલા પાસથી કૈલાશ માનસરોવર યાત્રા માટે 33 યાત્રાળુઓ અને બે સંકલન અધિકારીઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરે પૂર્વ સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર આયોજિત એક સમારોહમાં યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર અને સિક્કિમના લોકો વતી, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સીએસ રાવે યાત્રાળુઓનું સ્વાગત કર્યું. રાવે જણાવ્યું હતું કે પ્રથમ બેચમાં 33 યાત્રાળુઓ અને બે સંકલન અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બે અધિકારીઓમાંથી, એક વિદેશ મંત્રાલયનો છે અને બીજો ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)નો છે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારે યાત્રાળુઓની સલામતી, સુવિધા અને સુગમ સંચાલન માટે સંબંધિત વિભાગો અને અર્ધલશ્કરી દળો સાથે સંકલનમાં તમામ જરૂરી વ્યવસ્થા કરી છે. રાજ્યપાલે પોતાના સંબોધનમાં છ વર્ષ પછી યાત્રા ફરી શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે.આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા માટે 750 ભારતીય યાત્રાળુઓની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 500 યાત્રાળુઓ નાથુલા પાસ દ્વારા 10 જૂથોમાં મુસાફરી કરશે અને 250 શ્રદ્ધાળુઓ લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) દ્વારા મુસાફરી કરશે.

