કડીના કરણનગર રોડ સ્થિત પરમાનંદ સીટીમાં રહેતો રાજસ્થાની પરિવાર રાત્રે ઘરમાં સૂતો હતો, ત્યારે ત્રાટકેલા તસ્કરો બીજા માળે જાળી તોડી કબાટમાં મૂકેલા રૂ.18.40 લાખના અંદાજે 23 તોલા સોનાના દાગીના ચોરી ગયા હતા. શહેરના કરણનગર રોડ સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ સામે આવેલી પરમાનંદ સીટીમાં મકાન નંબર 43માં રહેતાં રાજસ્થાનના વિક્રમસિંહ શેખાવત જોટાણા સ્થિત ગોલ્ફ સિરામિક કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. રાતે વિક્રમસિંહ તેમની પત્ની તથા બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા. તે દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સો બીજા માળની જાળી તોડી અંદર ઘૂસ્યા હતા અને કબાટમાં એક એલ્યુમિનિયમના ડબ્બામાં મૂકેલા સોનાના ચોરી ગયા હતા.
સવારે ઉઠીને વિક્રમસિંહ તેમની દવા લેવા માટે ઉપરના માળે ગયા તો જાળી તૂટેલી હતી અને કબાટ ખુલ્લા જોઈ બૂમાબૂમ કરતાં તેમનાં પત્ની ઉપર દોડી આવ્યાં હતાં. બંનેએ કબાટમાં ચેક કરતાં 7 તોલા સોનાના બે બેસ્લેટ, 14 તોલા સોનાનો હાથનો પાંચો તથા કાનની બે બુટ્ટી મળી રૂ.18.40 લાખના 23 તોલા સોનાના દાગીના ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું. આથી વિક્રમસિંહ શેખાવતે કડી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ આર.કે. પાટીલે વધુ તપાસ હાથ ધરી છે.

