આતંકવાદી હુમલા બાદ ભારત-પાક વચ્ચે તણાવ ચરમસીમાએ : જમ્મુ એરપોર્ટ અને આસપાસના વિસ્તારો માટે ચેતવણી : સેનાની ભારે અવરજવર : જમ્મુ અને કાશ્મીરમાં આજે જમ્મુ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માહિતી મળી રહી છે કે, એરપોર્ટ નજીક કોઈ મોટી ઘટના બની શકે છે, જેના પગલે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. બીજી તરફ મોટી સંખ્યામાં સેનાના કાફલાની અવર-જવર પણ જોવા મળી રહી છે. હાલમાં જમ્મુ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતના જડબાતોડ જવાબથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ‘ઓપરેશન સિંદૂર’થી ભડકેલા પાકિસ્તાને ભારતમાં અનેક જગ્યાએ હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ડિફેન્સ સિસ્ટમે તેમની મિસાઇલોને હવામાં જ નિષ્ફળ બનાવી દીધી હતી. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ૧૯૭૧ના યુદ્ધ પછી ક્યારેય આટલા મોટા પાયે નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા નથી.
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને આકરો સંદેશ આપતા કહ્યું હતું કે તેમની (પાકિસ્તાન) તરફથી જે રીતે સામાન્ય લોકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જમ્મુ શહેર પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, મને નથી લાગતું કે ૧૯૭૧ના યુદ્ધ પછી ક્યારેય આ રીતે જમ્મુ શહેરને નિશાન બનાવવામાં આવ્યું હોય. પરંતુ અમારા સુરક્ષા દળોએ તેમના તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યા, એક પણ ડ્રોન લક્ષ્ય સુધી પહોંચી શક્યો નથી.
