શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે ધામે ઉમટી રહ્યા છે. પદયાત્રા કરતા પદયાત્રિકો ભક્તિ અને આસ્થાથી અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. યાત્રાધામ તરફ જતાં માર્ગોમાં સર્વત્ર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ભક્તોને ભોજન, નાસ્તો, ચા, સ્વચ્છ પીવાનું પાણી, આરોગ્ય સેવાઓથી માંડીને આરામ તથા મસાજ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આ સેવા કેમ્પોમાં ખાસ ઓળખ ધરાવે છે “ખમણિયો કેમ્પ”. છેલ્લા 36 વર્ષથી અવિરત સેવા આપતો ખમણિયો કેમ્પ યાત્રાળુઓની ભક્તિમાં ઉર્જા ઉમેરે છે. ખેડબ્રહ્માથી અંબાજી જતા માર્ગ પર અમદાવાદના મણિનગરસ્થ જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દૂર દૂરથી આવતા સંઘો અહીં રોકાઈ “ખમણ-કઢી”ના પ્રસાદનો લાભ લઈ આગળ વધી રહ્યા છે. આ કેમ્પનું સંચાલન આશરે 250 સેવાભાવી સભ્યો દ્વારા કરવામાં આવે છે, સેવાભાવી લોકો મેળા દરમિયાન ખડેપગે રહી અહીં નિઃસ્વાર્થ સેવા આપે છે. દર વર્ષે માત્ર 6 દિવસના સમયગાળામાં આશરે 10 ટનથી વધુ ખમણનો પ્રસાદ ભક્તોને વિતરણ થાય છે. સાથે સાથે ચા-કોફી અને પ્રાથમિક સારવાર કેમ્પ પણ તદ્દન નિઃશુલ્ક ચાલી રહ્યા છે, જેનો ભક્તો ઉત્સાહપૂર્વક લાભ લઈ રહ્યા છે.
“પાણીના ધોધ તો ઘણા છે, પણ અહીં ખમણનો ધોધ છે” એવી લોકપ્રિય ઓળખ ધરાવતો આ કેમ્પ 24 કલાક અવિરત સેવા પૂરી પાડી રહ્યો છે. આ સેવા કાર્યમાં મહિલાઓ, યુવાઓ અને વડીલો સૌ સાથે મળી સ્વચ્છતા અને નિષ્ઠાપૂર્વક ભક્તોને ખમણ પીરસે છે. આ સમગ્ર સેવા કાર્યનું સંચાલન મંડળના વડીલ દીપકભાઈ રાવલ, નારણભાઈ, બળવંતભાઈ રાવલ તથા યુવાઓ અને બહેનોના સહકારથી થાય છે. નિઃસ્વાર્થ સેવા અને ભક્તિભાવના આ અનોખા ઉદાહરણ રૂપ “ખમણિયો કેમ્પ” અંબાજી મહામેળાનું વિશેષ આકર્ષણ બની રહ્યો છે.


