મધ્યપ્રદેશના ટોચના પોલીસ અધિકારી કૈલાશ મકવાણાએ બળાત્કારની વધતી ઘટનાઓ માટે ઇન્ટરનેટ, સેલ ફોન, દારૂ અને નૈતિક મૂલ્યોમાં ઘટાડો જવાબદાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે બળાત્કાર અટકાવવો એ પોલીસ એકલા કરી શકતી નથી.
ઉજ્જૈનમાં એક વિભાગીય સમીક્ષા બેઠકમાં વધતા જતા કેસ પાછળના કારણ વિશે પૂછવામાં આવતા, મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP) એ દાવો કર્યો હતો કે સેલ ફોન અને ઇન્ટરનેટની વ્યાપક ઉપલબ્ધતાને કારણે લોકો અશ્લીલ સામગ્રી સુધી સરળતાથી પહોંચી શકે છે.
ઘણા કારણો છે. મારા મતે, તે ઇન્ટરનેટ, મોબાઇલ ફોન, અશ્લીલ સામગ્રીની ઉપલબ્ધતા, દારૂ અને લોકો ગમે ત્યાંથી ગમે ત્યારે મોબાઇલ ફોન દ્વારા કેવી રીતે કનેક્ટ થઈ શકે છે તેના કારણે છે. સમાજમાં નૈતિક મૂલ્યોમાં ઘટાડો થઈ રહ્યો છે. આ બધા પરિબળો ફાળો આપી રહ્યા છે, તેવું તેમણે કહ્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે ઇન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ અશ્લીલ સામગ્રીથી યુવાનોના મન પ્રભાવિત થઈ રહ્યા છે તે બળાત્કારના કેસોની વધતી સંખ્યા પાછળનું એક મુખ્ય કારણ છે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ દ્વારા જે પ્રકારની અશ્લીલતા પીરસવામાં આવી રહી છે તે નાનપણથી જ યુવાનોના મનને વિકૃત કરી રહી છે, અને નિઃશંકપણે, આવી ઘટનાઓમાં વધારો થવા પાછળનું આ એક કારણ છે.

