કરદાતાઓને ઈ-મેલ મોકલવામાં આવી રહ્યા છે : આવકવેરા કાયદાની કલમ 115BBH મુજબ, ક્રિપ્ટો વ્યવહારોથી થતી આવક પર ૩૦ ટકાના દરે કર ઉપરાંત સરચાર્જ અને સેસ પણ વસૂલવામાં આવે છે ક્રિપ્ટો કરન્સીથી થતી આવક હવે આવકવેરા વિભાગની તપાસ હેઠળ છે. વિભાગે હજારો એવા વ્યક્તિઓને ઈ-મેલ મોકલ્યા છે જેમણે ક્રિપ્ટો કરન્સીનો વ્યવહાર કર્યો છે પરંતુ તેમના રિટર્નમાં તેમાંથી થતી આવકનો ઉલ્લેખ કર્યો નથી. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વ્યવહારો ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ ના આકારણી વર્ષ સાથે સંબંધિત છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ને કેટલાક ઉચ્ચ જોખમ ધરાવતા લોકો કરચોરી અને મની લોન્ડરિંગમાં સામેલ હોવાની શંકા છે, જેઓ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) એટલે કે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે બિનહિસાબી આવકનો ઉપયોગ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે હજારો ડિફોલ્ટર્સને ઇમેઇલ મોકલીને અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું કહ્યું છે જેમણે ક્રિપ્ટો વ્યવહારોમાંથી થતી આવક જાહેર કરી નથી અથવા ખોટી રીતે માહિતી આપી નથી.
આવકવેરા કાયદાની કલમ 115BBH મુજબ, ક્રિપ્ટો વ્યવહારોમાંથી થતી આવક પર ૩૦ ટકાના દરે કર લાદવામાં આવે છે, ઉપરાંત સરચાર્જ અને સેસ. આ જોગવાઈ ખરીદીના ખર્ચ સિવાય કોઈપણ ખર્ચની કપાતની મંજૂરી આપતી નથી. ઉપરાંત, ક્રિપ્ટો રોકાણો અથવા વેપારથી થતા નુકસાનને અન્ય કોઈપણ આવક સામે સેટ ઓફ કરવાની અથવા પછીના વર્ષોમાં આગળ વધારવાની મંજૂરી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં લોકોએ ITR ના શેડ્યૂલ VDA (ક્રિપ્ટોમાંથી આવક) ફાઇલ ન કરીને અને કમાયેલી આવક પર ઓછા દરે કર ચૂકવીને અથવા ખર્ચ સૂચકાંકનો દાવો કરીને આવકવેરા કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.એવું માનવામાં આવે છે કે કરદાતાઓ દ્વારા દાખલ કરાયેલા ITRs ને વિભાગ દ્વારા વિવિધ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો દ્વારા દાખલ કરાયેલ ‘‘ટેક્સ ડિડક્શન એટ સોર્સ” (TDS) વિગતો સાથે ચકાસવામાં આવી રહ્યા છે અને ડિફોલ્ટર્સને વધુ ચકાસણી અથવા તપાસ માટે ચિホતિ કરી શકાય છે. CBDTનું આ પગલું આવકવેરા વિભાગના કરદાતાઓ પર પહેલા વિશ્વાસ કરવાના ખ્યાલ પર આધારિત છે.

