પાલનપુરમાં સેનિટેશન વિભાગની બેદરકારીથી શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા

પાલનપુરમાં સેનિટેશન વિભાગની બેદરકારીથી શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા

નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેર ગંદકીથી બેહાલ

પાલનપુરમાં રાજગઢી નજીક આવેલ શાળા આગળ કચરાના ઢગલામાં આગ લગાવી કચરો બાળવામાં આવતા તેમાંથી નીકળતા ધુમાડાથી વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાય છે. જેને લઇને વિદ્યાર્થીના વાલીઓ, શાળાના સ્ટાફગણ અને વિસ્તારના રહીશો રોષે ભરાયાં છે.

પાલનપુર શહેરમાં સેનિટેશન વિભાગની કાર્યવાહીને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે શહેરના લગભગ દરેક વોર્ડમાં કચરાને લઈને ફરિયાદો ઉઠી રહી છે. પાલનપુર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા વર્ષે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે તેમ છતાં પાલનપુરમાં ઠેર ઠેર કચરાના ઢગલા, ઉભરાતી ગટરો અને ગંદકીથી નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે પાલનપુરના મોટી બજાર રાજગઢી નજીક આવેલ માધ્યમિક શાળાની સામે કચરાના ઢગલા માટે વારંવાર નગરપાલિકા સહિત વહીવટી તંત્રમાં લેખિત રજૂઆત કરી કાયમી નિકાલ માટે માંગ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કાયમી ઉકેલ ના મળતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શાળાની આગળ આસપાસના રહીશો અને સેનિટેશન વિભાગના સફાઈ કર્મીઓ દ્વારા અહીં  કચરો ઠાલવવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે.

કચરો ઠલવાતા ભૂંડ અને રખડતા પશુઓ ત્યાં અડીંગો જમાવતા રોડ સાંકડો થઈ જતો હોવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે અને આ પશુઓના લીધે અકસ્માતની ભીતિ  પણ સર્જાય છે તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ના કરવામાં આવતા આવનાર બોર્ડની એક્ઝામ માટે થઈ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી છે. રાજગઢી  નજીક આવેલ બેન્કના એક કર્મચારીએ જણાવ્યા અનુસાર અહીં કચરો સળગાવવામાં આવતો હોવાથી બેંકમાં કામ કરવું પણ મુશ્કેલ બને છે ત્યારે અહીંના કચરાના ધુમાડાને બંધ કરવા માટે પાણીનો મારો ચલાવી આગ ઓલવવી પડે છે. કચરાના લીધે ગંદકી અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *