એજન્ટોની ઉઘરાણીના ત્રાસે પિતાનો એસિડ પીને આપઘાત; વિદેશ મોકલવા માટે કાંઈક પેતરા ઘડતા એજન્ટો દ્વારા બે નંબરમાં લોકોને વિદેશ મોકલવામાં આવતા હોય તેવી ઘટનાઓ હવે સામાન્ય બની ચુકી છે. તેવામાં જો વાત કરવામાં આવે મહેસાણાના ગોજારીયાની ગોઝારી ઘટનાની તો વિદેશ જવાની ઘેલછામાં ક્યારેક પરિવારને જીવ ખોવાની નોબત આવે છે.
આવું જ કંઈક થયું છે ગોજારીયા ગામમાં કે જ્યાં મહેસાણાના ગોજારીયામાં દીકરાને વિદેશ મોકલ્યા બાદ બાકી રહી ગયેલા નાણાંની એજન્ટો દ્વારા કડક ઉઘરાણી કરવામાં આવતી હતી જેનાથી ત્રાહિમામ પોકારી ગયેલા એક પિતાએ આપઘાત કરી લીધો છે. ગત થોડાક સમય પહેલા જ ગોજારીયાના 60 વર્ષીય કૌશિક પંચોલી નામના વ્યક્તિએ તેમના દીકરાને વિદેશ મોકલ્યો હતો. દીકરો વિદેશ તો પહોંચી ગયો હતો પરંતુ ત્યાર બાદ બાકી રહેલા નાણાંની એજન્ટ દ્વારા ધાક ધમકીઓ આપી વારંવાર કડક ઉઘરાણી કરવામાં આવતી હતી. ઘરે આવીને પણ ખરાબ વર્તન કરી ચપ્પાની અણીએ બાકીના નાણાં આપી દેવા અને જાણથી મારી નાખવાની ધમકી આપી સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું.
જ્યાં એજન્ટો દ્વારા વારંવાર કૌશિક ભાઈ પંચોળીના ઘરે જઈને ધમકાવવામાં આવતા આખરે માનસિક ત્રાસથી કંટાળીને એજન્ટોના ત્રાસને કારણે કૌશિક પંચોલી નામના 60 વર્ષીય વ્યક્તિએ એસિડ ગટગટાવી લઈ આપઘાત કરી લેતા મોત નીપજ્યું છે. આ મામલે અમદાવાદના ત્રણ એજન્ટ ગૌરવ મોદી,કમલેશ પટેલ અને ચિરાગ પટેલ સામે આત્મહત્યા માટે દુષપ્રેરણની ફરિયાદ નોંધાવાઈ છે. જોકે આ બનાવની જાણ વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતાં ગોજારીયા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે તેમજ આવા કબૂતરબાજ એજન્ટો પર ફિટકાર વરસાવ્યો છે. ધાક ધમકીઓ આપી પૈસાની ઉઘરાણી કરી આત્મહત્યા માટે દુસ્પ્રેરણ કરવા બદલ પોલીસે પણ ઢીલું ન મુકતા જે અનુસંધાને મૃતક કૌશિકભાઈ પંચોળીના પત્નીએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા તેના આધારે તાત્કાલિક ફરિયાદ નોંધી ગુનેગાર એજન્ટોને પકડવા તજવીજ હાથ ધરી છે.