મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ખાનગી એજન્સી નિયુક્ત કરાતા નારાજગી
હવે નાફેડના બદલે એન.સી.સી.એફ.આઇ. નવી નોડલ એજન્સી…!
કોઈ દેખીતા કારણ વગર નોડલ એજન્સીને જવાબદારી સોંપી દેવાતા દેવાતાં ખેડૂત વર્ગમાં નારાજગી
ગુજકોમસોલમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરતાં નેતાઓ જિલ્લાનાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે ચૂપ કેમ?
દિયોદરમાં મગફળી ખરીદી માટે ફાળવાયેલા સેન્ટરોની વિશ્વસનીયતા પણ શંકાના ઘેરામાં!
નાફેડ સિવાયની એજન્સીએ કામ સોંપવા પાછળનું તર્ક સમજાવવામાં તંત્ર નિષ્ફળ
કૃષિ પ્રધાન મનાતા ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખુબ જ પ્રોત્સાહક અભિગમ અપનાવતી આવી છે. ખાસ કરીને ઘણી ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદવાની સરકારની નીતિ ખેડૂત વર્ગ માટે આશીર્વાદરૂપ બની રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા મગફળી સહિત અન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે. જોકે આ વર્ષે છેલ્લી ઘડીએ બનાસકાંઠા સહિત ગુજરાતના પાંચેક જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતી એજન્સી કોઈ દેખીતા કારણ વગર બદલી દેવાતાં ખેડૂતોમાં આ મામલો ચર્ચાની એરણે ચડયો છે.
અગાઉ ગુજરાતમાં દર વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની કામગીરી લગભગ નાફેડ સંસ્થા દ્વારા એટલે કે ગુજકોમાસોલ દ્વારા કરાતી હતી. આ વર્ષે પણ આ કામગીરી રાજ્યમાં ગુજકોમાસોલ સંસ્થાને જ સોંપાઈ છે. જોકે બનાસકાંઠા ઉપરાંત કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને ભાવનગર એમ પાંચેક નવા જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની કામગીરી માટે રાષ્ટ્રીય ખરીદ એજન્સી તરીકે નાફેડના બદલે નેશનલ કો. ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા ( એન. સી.સી.એફ.આઇ) સંસ્થાની નિયુક્તિ કરાઈ છે. જ્યારે રાજ્ય ખરીદ એજન્સી તરીકે ગુજકોમાસોલના બદલે ઈન્ડી એગ્રો કન્સોટિયમ ઉત્પાદક કંપની લી.(કોઓપરેટીવ કંપની) હાલે કરી રહી છે. જ્યારે પણ ખરીદી શરૂથાય ત્યારે મોટાભાગે દીઓદર તાલુકા સંઘમાં ગુજકોમાસોલ દ્વારા ખરીદી થાય છે. ત્યારે આ વખતે દીઓદર પંથકમાં છ-છ ખરીદી સેન્ટરો ફાળવાતાં ખેડુતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમાંય બે સેન્ટરો જુના માર્કેટમા, ત્રણ સેન્ટરો નવીન માર્કેટમાં જેથી ખેડુતોને ફાળવાયેલ કયુ સેન્ટર કયાં આવ્યું છે. તેની કોઈ માર્ગદર્શીકા ન હોઈ ખેડુતો ઠેર ઠેર મગફળી લઈ ભટકવું પડે છે. કોઈ જવાબ આપવા વાળુ નથી રસ્તાઓ ઉપર ઠેર ઠેર મગફળી ઠાલવી રસ્તાઓ બ્લોક કરાયા છે. લાખો રૂપીયાની મગફળી ખરીદી માર્કેટના ગેટમાંથી પસાર થઈ માર્કેટના રસ્તાઓ બ્લોક કરી કરાતી આ ખરીદીની માર્કેટ શેષ કોણ લેશે ?
જીલ્લા રજીસ્ટ્રાર ન્યાયિક તપાસ કરાવશે ખરા ?
દીઓદર માર્કેટ સમિતિના સંલગ્નમાં આવેલ ખુલ્લી જગ્યામાં આની ખરીદી થઈ રહી છે. ત્યાં કોઈ દુકાન કે ગોડાઉન નથી. જ્યારે ખુલ્લી જગ્યામાં જ જેતે ખરીદી સેન્ટરોના બેનરો લગાવી ખરીદી શરૂ કરાઈ છે. ત્યારે દીઓદર માર્કેટના વેપારીઓના માલની સલામતી શું…? તેમાંય પાછળનો ગેઈટ જે માર્કેટ સમિતિમાં આવતો નથી ને ખુલ્લો જેથી સૌ કોઈ આવી શકે માર્કેટમાંથી ગાડી ભરી બારોબાર શેષ ભર્યા વગર પણ જાય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. કારણ કે, રસ્તો પણ ખુુલો અને પાછળનો ગેઈટ છે તે પણ પ્રાઈવેટ જગ્યામાં.? ત્યારે જીલ્લા રજીસ્ટાર આ મામલે ન્યાયિક તપાસ કરાવી જગતનાં તાતે મહા મહેનતે તૈયાર કરેલ પાકનું રક્ષણ કરાવશે ખરા…? તેવા સવાલો ધરતીપુત્રોના મનમાં ઉઠવા પામ્યા છે.
દિયોદરમાં છ જેટલા ખરીદ સેન્ટરો ફાળવાયા
– દિયોદર તાલુકા સંઘ
– ધી રૈયા જુથ તેલબીયાં ઉત્પાદક સહકારી મંડળી
– ધી દિયોદર તાલુકા વિભાગીય સહ.કૃષિ ઉત્પાદનસંઘ
– ગુજપાલ ફાર્મસ પ્રોડયુસર કંપની લી.
-ગોલવી કાલા કપાસ મંડળી વડીયા સેવા સરકારી મંડળી
– માળીવાસ વડીયા સહકારી મંડળી લી.
બનાસ સહિત ઉત્તર ગુજરાતના ધરતીપુત્રોને અન્યાય છતાં નેતાજીઓનું ભેદી મૌન
એક તરફ ખેડૂતોએ મહા મહેનતે લાખ્ખો રૃપિયાની ખર્ચ કરેલ મગફળીનાં પાકનું યોગ્ય વળતર નહિ મળવાથી જગતનો તાત પહેલાથી પરેશાન હતો. તેવામાં હવે સરકારે બનાસકાંઠા સહિત ઉતર ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં મગફળીની ટેકાનાં ભાવે ખરીદીની કામગીરી નાફેડને બદલે એન.સી.સી.એફ.આઇ.નામની ખાનગી સંસ્થાને સોંપી દીધી છે. જેની વિશ્વસનીયતા બાબતે પણ કોઈ રાજકીય આગેવાન કે સરકારી બાબુઓ પ્રકાશ પાડવા તૈયાર નથી. એક તરફ જિલ્લાનાં રાજકીય આગેવાનો નાફેડ અને અન્ય સહકારી મળખાઓમાં સ્થાન મેળવવા દિલ્હી સુધીની ડોટ લગાવતાં હોય છે તો પછી આવા કહેવાતાં જનસેવકોને જગતનાં તાત સાથે થઈ રહેલો અન્યાય કેમ નથી દેખાતો? તેવા વેધક સવાલો જાગૃત નાગરિકોના મનમાં ઉઠવા પામ્યા છે.



