દીક્ષા સાથે ૩૧ દિવસીય બ્રહ્મચર્યોત્સવનું સમાપન
પૂ.ભગવંતના સંયમ જીવનના ૫૦ માં વર્ષમાં મંગળ પ્રવેશની અનુમોદના; ડીસા શહેરમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભવ્ય બ્રહ્મચર્યોત્સવનો એક મહત્વપૂર્ણ દિવસ હતો. મુમુક્ષુઓના વરસી દાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને લોકોએ ભાવપૂર્વક મુમુક્ષુઓને વધાવ્યા હતા.આજે આ બ્રહ્મચર્યોત્સવનું સમાપન થશે.મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે અને ત્યાર બાદ સમાપન સમારોહ યોજાશે.
આ પ્રસંગે પ.પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજય બોધિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પ.પૂ.આ. ભગવંત શ્રીમદ્ વિજય તપોરત્નસૂરીશ્વરજી મહારાજા તથા પ.પૂ.આ. ભગવંત શ્રીમદ્ વિજય કુલરત્નસૂરીશ્વરજી મહારાજાના નિર્મળ સંયમ જીવનના ૫૦ માં વર્ષમાં મંગલ પ્રવેશની અનુમોદના કરવામાં આવી રહી છે. આ શુભ અવસરે ડીસામાં ૩૧ દિવસીય બ્રહ્મચર્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય જન જનના હૃદયમાં બ્રહ્મચર્યના મહત્વને ઉજાગર કરવાનો હતો. આ ૩૧ દિવસ દરમિયાન જૈન તત્વજ્ઞાનના વિવિધ પાસાઓ પર પ્રવચનો, ૫૧ માં વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી, વરસી દાનનો વરઘોડો અને દીક્ષા પ્રવચન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા.
ધી નવાડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની આજ્ઞાથી પરિવાર તેમજ ગુરુભક્ત પરિવારના સભ્યોએ આ ઉત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ડીસા અને બનાસકાંઠા ઉપરાંત સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકોએ આ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધર્મલાભ મેળવ્યો હતો. આજે યોજાનાર દીક્ષા સમારોહ અને સમાપન કાર્યક્રમ પણ ભવ્ય રીતે સંપન્ન થશે.