જિલ્લામાં આદર્શઆચાર સંહિતાના અમલીકરણ માટે મંગળવારના રોજ જિલ્લા ચુંટણી અધિકારીઅને કલેક્ટર પ્રવિણા ડી.કેની અધ્યક્ષતામા ચુંટણી અમલીકરણ અધિકારીઓની બેઠક કલેક્ટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. જેમા જિલ્લામાં આચારસંહિતા અમલ અંગે જરૂરી વિગતોની ચર્ચા કરવામા આવી હતી.
જિલ્લામાં આચાર સંહિતાની અમલવારી માટે મદદનીશ ચુંટણી અધિકારી ઓની કામગીરીની સમીક્ષા કરવામા આવી જેમા આચારસંહિતાનો ભંગ ન થાય તે ખાસ જોવાની તાકીદ કરવામા આવી હતી. જેમા મંત્રીશ્રીઓ કે સત્તાધિકારીઓ દ્વારા ચૂંટણીલક્ષી જાહેરાતો, નાણાંકીય સહાય,પરિયોજના કે શિલારોપણ વિધિ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ તેમજ મતદારોને પ્રભાવિત કરતી જાહેરાતોને પ્રતિબંધિત કરવામા આવે છે જો આમ થતુ માલુમ થશે તો તે આદર્શ આચારસંહિતાનો ભંગને લગતા પગલા હાથ ધરવામાં સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું.
વધુમાં કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ બોર્ડ, નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ કચેરી કામ અર્થે ચુંટણી પૂર્ણ થતાં સુધી મતવિભાગોની મુલાકાત દરમિયાન સરકારી વાહનોનો ઉપયોગ કરશે નહિ. આ ઉપરાંત વિશ્રામગૃહો, ડાક બંગલાઓ અને સરકારી રહેઠાણનો ઉપયોગ અંગે જાણ કરવાની રહેશે જયારે રાજકીય સરકારની સિધ્ધિઓના પ્રચારમાં સરકારી નાણા કે માધ્યમનો ઉપયોગ ના થાય તે અંગે ધ્યાન દોર્યુ હતું.
ચૂંટણી સભાઓ યોજવા શૈક્ષણિક સંકુલોનો ઉપયોગ ના થાય તેમજ સરકારી વેબસાઇટ પરથી પ્રચારાત્મક સામગ્રી દુર કરવા અને સરકારી કચેરીઓમાંથી રાજકીય પક્ષના નેતાના ફોટો કે કેલેન્ડર દુર કરવા તેમજ વિવેકાધિન ગ્રાન્ટ્માથી કોઇ નવિન કામગીરી, સરકાર નવા સમજૂતી કરાર કે પરિયોજનાઓ કે કામોનો વિસ્તાર હાથ ના ધરવામાં આવે તે અંગે ખાસ જાણ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ, અધિક કલેકટર વી.એલ.પટેલ, નાયબ ચુંટણી અધિકારી મુકેશ પરમાર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.