યાત્રાધામ અંબાજીમાં પાંચમા દિવસે ભક્તિ અને શ્રધ્ધાનાં ઘોડાપૂર જોવા મળ્યા હતા. જોકે ભક્તોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. મેળો અંતિમ ચરણમાં પહોંચતા 2.10 લાખ ભક્તો પાંચમાં દિવસે અંબાજી પહોંચ્યાં હતા. દરમિયાન પાલનપુરથી દાંતા વચ્ચે માર્ગ સુનો બનતા કેમ્પ ઉઠી ગયા હતા. મેળાના પાંચ દિવસ દરમિયાન અઢી લાખ લોકોએ આરોગ્યની સુવિધાનો લાભ લીધો હતો. પાંચ દિવસમાં સૌથી વધુ ધજા ગુરુવારે પાંચમા દિવસે 1871 જેટલી ચઢી હતી. દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તો માતાજીના દર્શન કરવા અંબાજી ધામમાં પહોંચતા મેળો હવે અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ભક્તિ, શક્તિ, તપ અને શ્રધ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં હોય તેવો નજારો ગુરુવારે ચાચર ચોકમાં જોવા મળ્યો હતો.
અંબાજીમાં જે સંઘો લઈને આવ્યા હતા તેઓ આરતી અને ગરબાની રમઝટ કરતા જોવા મળ્યા હતા. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. મંદિર પરિસરમાં દર્શનની સુચારુ વ્યવસ્થા હોવાથી યાત્રિકોને લાંબી લાઇનો છતાં લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતુ નથી. પ્રસાદ કેન્દ્રો પણ પુરતી સંખ્યામાં હોવાથી યાત્રિકોને કોઇ તકલીફ પડતી નથી. જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણ પણ પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચ્યા હતા. તેઓ દાંતાથી અંબાજી પગપાળા પદયાત્રા કરી મા અંબાના સાનિધ્યમાં આવી પહોંચતા પોલીસમિત્રોએ તેમનું સ્વાગત કર્યું હતું. ફુટ પેટ્રોલીંગ કરી શકાય તે હેતુથી સાથી કર્મીઓ સાથે અંબાજી પહોંચ્યાં હતા.
અંબાજીમાં પ્રવેશવાના તમામ રસ્તાઓના પ્રવેશદ્વારો ઉપર જ સ્ટોલ ઉભા કરીને બાળકના અને વાલીના નામ-સરનામા, સંપર્ક નંબર વગેરે વિગતોનું રજીસ્ટ્રેશન કરીને RFID કોડવાળુ આઇકાર્ડ ઇસ્યુ કરી બાળકના ગળામાં પહેરાવવામાં આવે છે. આવુ કાર્ડ પહેરેલ બાળક મહામેળામાં તેના પરિવારથી વિખુટુ પડી જાય તો તાત્કાલીક બાળકના વાલીના રજીસ્ટર કરેલ સંપર્ક નંબર ઉપર સંપર્ક કરવામાં આવે છે. અંબાજી ખાતેના કંટ્રોલરૂમ ઉપરથી માઇક ઉપર જાહેરાત કરવામાં આવે છે. 3 કલાક સુધી બાળકના વાલી ન મળી આવે તો બાળકને સાચવવા એ.સી.રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારથી વિખુટા પડેલા 125 બાળકો મળી આવ્યા હતાં. જે તમામનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. અત્યાર સુધીમાં 5,745 બાળકોને RFID આઇકાર્ડ આપવામાં આવ્યા હતા.