પાલનપુર : પાલનપુર સમીસાંજે ફરીએક્વાર વીજ ગર્જના સાથે મેઘરાજાની પધરામણી થઇ હતી. ત્યારે ભારે વીજ કડાકા વચ્ચે શહેરના કંથેરિયા હનુમાન વિસ્તારમાં વીજળી પડતા એક મકાનનો પેરાફિટ તૂટી પડવાની સાથે લોકોના ઘરના વીજ ઉપકરણ બળી જતા વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે.
પાલનપુર શહેરના કંથેરીયા હનુમાન વિસ્તારમાં ભારે કડાકા સાથે વીજળી પડતા લોકોમાં ગભરાટના માહોલ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. વીજળી પડતા એક મકાનના પેરાફિટનો ભાગ તૂટી પડ્યો હતો. જયારે રહેણાંક મકાનોમાં વિજઉપકરણોને પણ ભારે નુકશાન થયું હતું. સ્થાનિક રહીશો પૈકી કેટલાકના ઘરમાં રહેલા ટીવી, ફ્રીજ, એ.સી.ને વ્યાપક નુકશાન થયું હતું. વીજળી પડતા અંધારપટ છવાઈ ગયો હતો. જોકે, બાદમાં વિજપુરવઠો પૂર્વવત થઇ ગયો હતો. અચાનક વીજળી પડતા લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું.