બહુચરાજી પાસેના સીતાપુર ગામે કડવા પાટીદાર સમાજની વાડીના બાંધકામના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં રવિવારે મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેનના અધ્યક્ષ સ્થાને શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. વાડી અને ધર્મશાળા એ સમાજની એકતાના આધારસ્તંભ છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં કોઇ ગામમાં સમાજની વાડી બંધાઇ હોય તેની કલ્પના કરવી અઘરી છે, પરંતુ તેમાં આપણા વડીલોની દીર્ઘદ્રષ્ટી અને કોઠાસૂઝનાં દર્શન થાય છે.
દશાબ્દી મહોત્સવ નિમિત્તે ગણેશજી અને ઉમિયા માતાજીની પ્રતિષ્ઠા તેમજ રૂ.૨.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત સ્વ.કનુભાઇ ભોજનશાળા, ગોમતીબા મેરેજહોલ, પાલીબા રસોઇગૃહ અને ચાર રૂમોનું ઉદઘાટન દાતાઓના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ગામની ૮૧૦ દીકરીઓને તેડાવી લ્હાણી આપી બહુમાન કરાયું હતું. ૨૦૦૦ વડીલોને હરિદ્વારની યાત્રા કરાવી સાચા અર્થમાં શ્રવણ બનેલા ગામના વતની રાજેશભાઇ પટેલનું ૭૨ સમાજના પ્રમુખ કિરીટભાઇ પટેલ (દેવગઢ)ના હસ્તે શાલ તેમજ સન્માનપત્ર આપી વિશેષ બહુમાન કરાયું હતું. દાતાઓને પણ સન્માનાયા હતા.
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઇ (મમ્મી) અને મંત્રી દિલીપભાઇ નેતાજીએ ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞની ભૂમિકા રજૂ કરી તેમાં અચૂક દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું હતું. ૪૮ સમાજના પ્રમુખ ઉમેદભાઇ પટેલ સહિત વિવિધ ગોળના હોદ્દેદારો તેમજ દેશ-પરદેશમાં રહેતા ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા.