સાતમા પગારપંચનો અમલ ન થતાં પાલનપુર પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો
રખેવાળ ન્યુઝ પાલનપુર : રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી સાતમા પગારપંચનો અમલ કરવામાં ન આવતાં પોલીટેકનીક કોલેજના અધ્યાપકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અધ્યાપકોએ કાળા કપડાં પહેરીને વિરોધ જતાવ્યો હતો. તેમજ એક સપ્તાહ સુધી કાળા કપડાં પહેરીને શૈક્ષણિક કાર્ય કરાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
એઆઈસીટીઈ, નવી દિલ્હી દ્વારા ૧ માર્ચ ૨૦૧૯ના રોજ થી ટેકનીકલ શિક્ષણની સંસ્થાઓના અધ્યાપકો માટે સાતમા પગારપંચની ભલામણો પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેને એક વર્ષ થવા આવ્યું છતાં ગુજરાત સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો નથી.
આ અંગે લાંબા સમય સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો કોઇ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. જેથી પોલિટેકનીક અધ્યાપક મંડળ દ્વારા અપાયેલા કાર્યક્રમ અંતર્ગત પાલનપુર પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ સોમવારે કાળા કપડાં પહેરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ એક સપ્તાહ સુધી ચાલુ રહેશે.