કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને એક મેસેજ આપ્યો છે. તેમાં તેમણે એક્ઝિટ પોલ્સનો અંદાજ જોઈને પાર્ટી કાર્યકર્તાઓને નિરાશ ન થવાની અપીલ કરી છે. પ્રિયંકાએ કહ્યું છે કે, આવો સર્વે તમારી હિંમતને તોડવા માટે દર્શાવવામાં આવી રહ્યો છે. તેનો વિશ્વાસ ન કરશો. સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ રૂમની પાસે સતર્ક રહેજો. મને વિશ્વાસ છે કે, આપણને મહેનતનું ફળ મળશે.
પ્રિયંકા ગાંધીનું આ નિવેદન મિર્ઝાપુરથી કોંગ્રેસ ઉમેદવાર લલિતેશ ત્રિપાઠીનો પત્ર આવ્યા પછી આવ્યું છે. તેમાં તેમણે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે, જે સ્ટ્રોંગ રૂમમાં બધા ઈવીએમ રાખવામાં આવ્યા છે ત્યાં પહેલેથી જ 300 વધારાના ઈવીએમ પહોંચાડવામાં આવ્યા છે.
અત્યાર સુધી જે પણ એક્ઝિટ પોલ્સ આવ્યા તેમાં મોટા ભાગમાં એનડીએને બહુમતી મળતી દર્શાવવામાં આવી છે. જોકે વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, તેમને પૂર્વ અંદાજો પર વિશ્વાસ નથી. વિપક્ષમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ સૌથી પહેલાં એક્ઝિટ પોલને નકાર્યા હતા. એક્ઝિટ પોલ્સને નકારવામાં આપના નેતા સંજય સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, કોંગ્રેસ નેતા રાશિદ અલવી, CPI(M) મહાસચિવ સીતારામ યેચુરી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ સામેલ છે.