રાધનપુર : રાધનપુર પંથકમાં ચાલુ વર્ષે તા.૪ સપ્ટેમ્બર સુધીમાં ૬૪૫ મી.મી. એટલે કે ૨૫ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે,પરંતુ ધીમી ધારે સમયાંતરે વરસાદ પડ્યો હોઈ કોઈ નુકશાન થવા પામ્યું નથી,જો કે ૨૦૧૭ માં તા.૨૮ ઓક્ટોબર સુધીમાં ૧૦૮૯ મી.મી. એટલે કે ૪૩.૬ ઇંચ વરસાદ ખાબકયો હતો,જેના કારણે આખાયે પંથકમાં બસ પાણી જ પાણી નજરે પડતું હતું,અને શહેરમાં મુખ્ય બજારમાં અને માર્કેટયાર્ડમાં દુકાનોમાં કેડસમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું,જેને આજે પણ વેપારીઓ ભૂલી શક્યા નથી.
રાધનપુર પંથકમાં ખેડૂતો માત્ર ને માત્ર વરસાદ ઉપર જ આધારિત હતા, પરંતુ નર્મદા યોજનાની નહેરો આવતા ખેડૂતો હવે માત્ર વરસાદ ઉપર આધાર રાખીને બેસી રહેતા નથી. પંથકમાં છેલ્લા ચાર વર્ષમાં પડેલા વરસાદના આંકડા ઉપર નજર નાખીયે તો ૨૦૧૬ માં ૬૪૪ મી.મી. એટલે કે ૨૫.૮ ઇંચ,૨૦૧૭ માં ૧૦૮૯ મી.મી. એટલે કે ૪૩.૬ ઇંચ,૨૦૧૮ માં ૧૯૮ મી.મી.એટલે કે ૮ ઇંચ અને ચાલુ વર્ષે તા.૪ સપ્ટેમ્બર સુધીમાં ૬૪૫ મી.મી. એટલે કે ૨૫ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શક્યો છે.ચાર વર્ષમાં સૌથી વધુ વરસાદ ૨૦૧૭ માં પડ્યો હતો,જે વર્ષે ૪૩.૬ ઇંચ જેટલો વરસાદ પડતા ચારે બાજુ પાણી જ પાણી થઇ જવા પામ્યું હતું. એક તો વધુ વરસાદ તેમાંય ઉપરવાસમાં ખુબ જ વરસાદ પડતા એ પાણી પણ રાધનપુર બાજુ વળ્યું હતું, જેના કારણે આ વિસ્તારમાં પાણી સિવાય કઈ જ દેખાતું નહોતું.બનાસ નદીમાં પાણી છોડતા તે પાણી પણ સ્કોટ કેનાલ દ્વારા શહેરના વડપાસર તળાવમાં આવ્યા હતા,જેના કારણે રામજી મંદિર પાસે તળાવ તૂટતાં અડધા રાધનપુરમાં પાણી ફરી વળ્યાં હતા, અને વેપારીઓને કરોડોનું નુકશાન થવા પામ્યું હતું. જો કે ગતવર્ષે ઓછો વરસાદ પડતા પણ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા,અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉદભવશે તેવી દહેશત ફેલાઈ હતી, જયારે ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ પડતા ખેડૂતો અને લોકો બધાય ખુશહાલ જણાય છે.