મોઢેરા વીજકંપનીમાં શટડાઉનના કારણે ગુરૂવારે સવારે ૮ થી સાંજના પ વાગ્યા સુધી મોઢેરા પાયલોટ પ્રોજેક્ટમાંથી અપાતું પીવાનું પાણી બંધ રહેશે. જેના કારણે મહેસાણા અને ચાણસ્મા શહેર સહિત ર૩૦ જેટલા ગામોને એક દિવસ પૂરતો પીવાના પાણીનો શુદ્ધ પુરવઠો બંધ રહેશે તેમ પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
મોઢેરા ૬૬ કેવી વીજ સબસ્ટેશનમાં તા.૧પ/૧૧/ર૦૧૮ને ગુરૂવારના રોજ મેન્ટેનન્સ કામને લઈ સવારે ૮ થી સાંજના પ વાગ્યા સુધી શટડાઉન જાહેર કરાતાં આ સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. જેની સીધી અસર પાણી વિતરણ વ્યવસ્થા ઉપર પડશે. મોઢેરા પાયલોટ પ્રોજેક્ટ સ્થિત એનસી-૧૭ પ્રોજેક્ટમાંથી સેવોટર પૂરૂ પાડતી યોજનાનું પમ્પીંગ બંધ રહેવાથી બેચરાજી અને ચાણસ્મા તાલુકો તેમજ મહેસાણા અને ચાણસ્મા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી યોજનામાં અંશતઃ પાણી પુરવઠો મળે તેવી શક્યતા છે.
જ્યારે શટડાઉનના કારણે મોઢેરા દેદિયાસણ ખાતે આવેલ ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ રહેશે. જેના કારણે પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા બંધ રહેવાથી મહેસાણા જિલ્લાના ૧૩૩ ગામો, પાટણ જિલ્લાના પ૦ ગામો તેમજ દસાડા તાલુકાના ૩પ ગામો અને મહેસાણા શહેરમાં પીવાનું પાણી એક દિવસ માટે બંધ રહેશે તેમ પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.