મહેસાણાના ઝુલેલાલ ચોક પાસે મકાન બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. ત્યાંથી અજાણ્યા શખ્સે રૂ. ર૦ હજારના ૩પ જેટલા લોખંડના ફર્માની ચોરી કરી હતી. જે બાબતે શહેર એ ડિવીઝન પોલીસ મથકે કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં દેલા વસાહતમાંથી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.
જાણવા મુજબ મહેસાણામાં સરસ્વતી સોસાયટીમાં રહેતા મોહનલાલ ભોલેલાલ ખાડીયા લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેમણે ઝુલેલાલ પાસે મકાન બાંધવાનું કામ રાખ્યું હતું. તે માટે લોખંડના ફર્મા લાવ્યા હતા. ત્યારે ગત ર૭ ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યો શખ્સ રૂ. ર૦ હજારના ૩પ ફર્મા ચોરી કરી લઈ ગયેલ. જે અંગે શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેની તપાસ પીએસઆઈ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા હતા. ત્યારે પી.આઈ.આર. ત્રિવેદી ની સૂચનાથી પીએસઆઈ એમ.એન. રાઠોડની ટીમે બાતમીના આધારે શહેરના દેલા વસાહતમાં રહેતા રામસંગજી વણસીંગ શીખના ઘરે દરોડો પાડી ૩પ ફર્મા જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી.