રખેવાળન્યુઝરાધનપુર : રાધનપુરમાં સાતુન રોડ ઉપર આવેલ સરકારી કુમાર છાત્રાલયમાં સરકાર દ્વારા ગરમ પાણી માટે સોલાર સિસ્ટમ નાખવામાં આવી છે,પરંતુ શિયાળો હોવા છતાંય વિદ્યાર્થીઓને ગરમ પાણી મળતું ના હોવાની બુમરાડ ઉઠવા પામી છે.તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોરે જયારે આ છાત્રાલયની મુલાકાત લીધી ત્યારે આ ફરિયાદ સામે આવી હતી.આ ઉપરાંત છાત્રાલયના પગથિયાં પણ તૂટેલી હાલતમાં છે,વિદ્યાર્થીઓ આવન-જાવન કરે ત્યારે અકસ્માત થવાનો ભય રહેલો છે.ઉપર ચડવાની સીડીની રેલિંગ પણ તૂટી ગઈ છે.છાત્રાલયમાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું ના હોઈ વિદ્યાર્થીઓને પાણી વિના હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પીવાના પાણી માટે પોતાનું સ્વતંત્ર કનેક્શન પણ નથી, હાલમાં બીજા ક્નેક્શનમાંથી પાણી લેવામાં આવી રહ્યું છે.છાત્રાલયના તમામ રૂમના પંખા બંધ હાલતમાં છે,આઠ મહિનાથી વાયરિંગમાં ફોલ્ટ સર્જાયા બાદથી તમામ પંખા બંધ છે. શૌચાલયોના ટબ પણ તૂટેલી હાલતમાં છે,જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોરે રાજ્યના મંત્રી વાસણભાઇ આહીર અને સમાજ કલ્યાણ અધિકારીને આ તમામ સમસ્યાઓ દૂર કરવા લેખિતમાં રજુઆત કરી છે.