રાધનપુર : રાધનપુર નગરપાલિકામાં રૂ.૧૭૩ લાખના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવનાર છે,જેનું ટેન્ડર ઓનલાઇન બહાર પાડવામાં આવતા પાંચ ટેન્ડરો આવ્યા હતા,જેમાંથી ઓછા ભાવના ટેન્ડરોની અવગણના કરીને વધુ ભાવના ટેન્ડરો પાસ કરાતાં પાલિકાના સત્તાધારી પક્ષના સદસ્યો આમને સામને આવી ગયા છે,અને સેનેટરી ચેરમેન હરદાસભાઇ આહિરે ટેન્ડરો રદ કરવા ચીફઓફીસરને લેખિતમાં રજુઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો,જો કે પાલિકા પ્રમુખ કમુબેન ઠાકોરે જણાવ્યું હતું કે કુલ પાંચ ટેન્ડરો આવ્યા હતા,જેમાંથી ત્રણ ટેન્ડરોના કોન્ટ્રાક્ટરોએ સિમેન્ટ-લોખંડમાં ભાવવધારો થયો હોવાથી કામ નહિ કરવાની લેખિત રજુઆત કરતા અંતે ૧.૩૩ ટકાઓછા ભાવવાળા ટેન્ડરને પાસ કરીને તેને વર્કઓર્ડર આપવામાં આવ્યો છે,કઈ ખોટું થયું નથી.
નગરપાલિકામાં રૂ.૧૭૩ લાખના ટેન્ડરો બહાર પડતા ઘનશ્યામ કન્સ્ટ્રક્શનને ટેન્ડર પાસ કરીને વર્કઓર્ડર અપાતા સેનેટરી ચેરમેન હરદાસભાઈ આહીરે ચીફ ઓફિસરને લેખિતમાં ટેન્ડર રદ કરવા રજુઆત કરી હતી,અને જણાવ્યું હતું કે નીચા ભાવવાળા કોન્ટ્રાક્ટરના ભાવ મંજુર કરાયા નથી અને ઊંચા ભાવવાળા કોન્ટ્રાક્ટર ઘનશ્યામ કન્સ્ટ્રક્શનના ભાવ મંજુર કરાયા છે, અધિકારીઓના મેળાપી પણાથી ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે.જો કે પ્રમુખ કમુબેન ઠાકોરે કંઈપણ ખોટું થયું હોવાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા ૪૦ કામોની વિગતો મોકલી હતી,જે મંજુર કરાયા હતા,પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આચારસંહિતા લગતા ટેન્ડરો આચારસંહિતા ઉઠી ગયા બાદ ખોલાયા હતા.બાંધકામ કમિટીના ચેરમેન મીનાબેન સુભાષભાઈ મકવાણાના જણાવ્યા મુજબ જે વિસ્તારોમાં આઝાદી પછી આજદિન સુધી વિકાસ કાર્યો થયા નથી એવા ઠાકોર, મુસ્લિમ, દલિત,ભરવાડ સમાજના વિસ્તારોમાં કામો મંજુર થયા હોઈ તાત્કાલિક આ કામો શરુ કરી દેવા જોઈએ.કારણકે કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર આપી દેવામાં આવ્યા છે.