બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી વરસેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં નદી-નાળા છલકાઈ ગયા છે. અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘુસી જતાં સામાન્ય જીવન પ્રભાવિત થયું છે. સૌથી વધુ નુકસાન ખેડૂતોને સહન કરવું પડી રહ્યું છે કારણ કે ખેડૂતોના ઊભા પાક પૂરના પાણીમાં ગરક થઈને સંપૂર્ણપણે નષ્ટ થયા છે. જિલ્લાના મોટાભાગના ખેડૂતો મગફળી, ચોમાસું બાજરી તલ, કપાસ, સોયાબીન જેવા પાકોની ખેતી કરતા હોય છે. હાલ વરસાદ અને પૂરથી આ પાકને લાખો રૂપિયાનો નુકસાન થયો છે. પાક નિષ્ફળ થતાં ખેડૂતો હવે ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે.
આ બાબતે કેટલાક ખેડૂતો એ જણાવ્યું હતું કે સરકાર તાત્કાલિક સર્વે કરી પાક વીમા હેઠળ સહાય જાહેર કરે, જેથી ખેડૂતોને થોડી રાહત મળી શકે છે. હજારો ખેડૂતો જમીન માલિકી વગર ભાગ માં વાવેતર કરી ખેતી કરે છે. આવા ખેડૂતોને પાક નિષ્ફળ જાય ત્યારે કોઈ પ્રકારનું વળતર કે સહાય મળતી નથી. પરિણામે આવા પરિવારો માટે રોજી-રોટીનું સંકટ ઊભું થયું છે ત્યારે ખેડૂત સંગઠનો અને ગ્રામજનો દ્વારા ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકારી તંત્ર તરફથી હાલ પૂર નિયંત્રણ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. નુકસાનનું મૂલ્યાંકન કરવા ટીમો ગામે-ગામે મોકલવામાં આવી છે. ખેડૂતોની અપેક્ષા છે કે સરકાર પાક નિષ્ફળતાનું વળતર જાહેર કરતી વખતે જમીન ભાગે વાવનાર ખેડૂતોને પણ હકદાર ગણાવા જિલ્લાના ગ્રામજનો અને ખેડૂતોના પ્રતિનિધિઓએ સરકારને આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરી યોગ્ય નીતિ ઘડવા અપીલ કરી છે.

