મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ૨૮૨ લાખના ખર્ચે નવનિર્મિત વિશ્રામ ગૃહ તેમજ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરીવિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૯૦ લાખના ખર્ચે બનેલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યાં ગામડાઓમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા ૩૧.૫૦ લાખના ખર્ચે ૦૯ ઈ-રિક્ષાઓને મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઈ-રિક્ષા વિજાપુર તાલુકાના કોટ, દેવપુરા, સોજા, આગલોડ, ગણેશપુરા, પેઢામલી, સંઘપુર, રણશીપુર અને ગઢડા ગામમાં ઘન કચરાના નિકાલ અર્થે ફાળવવામાં આવી છે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વિકાસ અવિરત ગતિથી ચાલી રહ્યો છે, રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે, પ્રધાનમંત્રીના વિકસિત ભારત-૨૦૪૭ ના સંકલ્પને સિદ્ધ કરવા નાગરિકોનો સહયોગ જરૂરી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રહિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષો વાવો, પાણી બચાવો, વીજળીનો કરકસર પૂર્વક ઉપયોગ, સ્વચ્છતાને સ્વભાવ બનાવવા માટે નાગરિકોને આહવાન કર્યું છે,ત્યારે પ્રધાનમંત્રીના આ રાષ્ટ્ર હિતના કાર્યમાં નાગરિકોને સહભાગી થવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે જેના મૂળમાં હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ રહી છે. આજે ગુજરાતે શરૂ કરેલ વાયબ્રન્ટ સમિટ દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે.