સુરતમાં સૌરાષ્ટ્રનાં શ્રમજીવીઓ વતનની વાટે…
ReORowJrxTg
સુરત
કોરોના વાઈરસને લઈને દેશભરમાં લોકડાઉનની સ્થિતિને પગલે સુરતમાં વસતા સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાંથી સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓએ વતનમાં હિજરત કરી છે. સુરતમાં લોકડાઉન સાથે જ વરાછા-કતારગામમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓએ વતનની વાટ પકડી હતી. હાલ શહેરનાં એન્ટ્રી-એક્ઝિટ પણ બંધ છે. ટ્રેન સેવા, બસ સેવા તેમજ ખાનગી બસ ઓપરેટરો સહિત માસ ટ્રન્સપોર્ટેશન પણ બંધ છે, તેવામાં વરાછા વિસ્તારમાંથી સૌરાષ્ટ્રવાસીઓ સર-સામાન બાંધી પગપાળા જ પરિવાર, બાળકો, મહિલાઓ સાથે વતનમાં હિજરત કરતા જોવા મળી રહ્યાં છે. જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરોલી, ગીરસોમનાથ, પોરબંદર સહિતનાં જીલ્લાઓમાં સુરતથી અંદાજીત ૫૦૦થી ૬૦૦ કિલોમીટરનું અંતર થતું હોય છે. સાથે જ સૌરાષ્ટ્રનાં વિવિધ જીલ્લામાંથી આંતરિયાળ ગામડાઓ સુધી પગપાળા પહોંચવું પણ ખુબ જોખમી કહી શકાય. તેવામાં કોઈપણ જોખમની પરવાહ કર્યાં વિના વરાછા વિસ્તારમાંથી પરિવાર સહિત લોકોનાં ટોળે ટોળા પગપાળા જ વતન જતાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વરાછાથી નીકળેલા સૌરાષ્ટ્ર વાસીઓ આટલું લાંબુ અંતર કાપવા માટે શોર્ટ કટ અપનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં ઉનાના લોકો મોટી સંખ્યામાં રહે છે. મોટા ભાગના લોકો મજૂરીકામ સાથે સંકળાયેલા છે. હાલ લોક ડાઉનની સ્થિતિમાં તેમની રોજગારી છીનવાઈ જતાં સુરતમાં ભયના ઓથાર નીચે રહેવા કરતાં વતન જતાં રહેવાનો માર્ગ તેમણે પસંદ કર્યો છે. ઉના જવા નીકળેલા રાજુભાઈ કોળીએ જણાવ્યું હતું કે, અમે બાળકો સાથે નીકળ્યા છીએ. સુરતથી દૂર હાઈ વે પર વેલંજા અને ત્યાંથી દૂર ગાય પગલા નજીકથી કોઈ વાહન મળી જાય તેવી શક્યતા છે. ઘણા અમારામાંથી ત્યાં સુધી આવશે. વાહનની રાહ જોઈશું જો મળશે તો તેમાં નીકળી જઈશું. અને નહિં મળે તો ઘણા પરત આવશે પણ અમારે હવે આ મહામારી વચ્ચે સુરત નથી રહેવું હું મારા પરિવાર સાથે ચાલી ને તો ચાલીને પણ સૌરાષ્ટ્ર વતન ભેળો થઈ જઈશ.