રાજકોટ / ‘આગલી જિંદગી સારી હશે’ લખી આર્કિટેકટની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ રવિ પાર્ક-૨માં રહેતી રૂત્વી નિતીનભાઇ કોઠીયા (ઉ.વ.૨૦) નામની વિદ્યાર્થિનીએ ઘરમાં બારીની જાળીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. રૂત્વી આર્કિટેકમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી હતી. આપઘાત કરતા પહેલા રૂત્વી સુસાઇડનોટમાં લખ્યું હતું કે, Next life better (આગલી જિંદગી સારી હશે).
કેટલાક દિવસોથી સતત ટેન્શનમાં હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રૂત્વી એક ભાઇ અને એક બહેનથી મોટી હતી અને ફફઁ કોલેજ પાસે આવેલી આર્કિટેક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. માતા દીકરીના રૂમમાં જતાં ઘટનાની જાણ થઇ હતી. રૂત્વીને આ અભ્યાસ કરવો ગમતો નહોતો અને હવે ફિલ્ડ બદલી શકાય તેમ નહોતું. આ કારણે તે કેટલાક દિવસોથી સતત ટેન્શનમાં હતી અને ચાર-પાંચ દિવસથી કોલેજે જવાનું પણ બંધ કરી દઇ સુતી રહેતી હતી. દરમિયાન તેણે આ પગલું ભરી લીધું હતું. તેણે અંગ્રેજીમાં એક-બે લાઇનમાં સુસાઇડ નોટ લખી છે. જેમાં આગલી જિંદગી સારી હશે તે પ્રકારનું લખાણ લખ્યું છે. પોલીસે બનાવ પાછળ બીજું કોઇ કારણ તો જવાબદાર નથી ને? તે અંગે તપાસ શરૂ કરી છે. રૂત્વીના પિતા કોન્ટ્રાક્ટ રાખી કામ કરે છે. તેઓ કામ માટે ઇન્દોર ગયા હતાં.