ખાનગી ડૉક્ટરો સર્જરી પૂર્વે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ નહિ કરાવી શકે
રખેવાળ, ગુજરાત
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અગાઉ ખાનગી લેબમાં પરિક્ષણ કરાવવા ખાનગી તબીબોને અપાયેલી મંજૂરીના તમામ પરિપત્રો રદ્દ કરી નાંખ્યા છે તથા ખાનગી ડોક્ટરો દ્વારા સર્જરી પૂર્વે ખાનગી લેબમાં કરાવાતાં કોરોના ટેસ્ટ પ્રતિબંધિત કરી દીધાં છે. આરોગ્ય વિભાગના અધિક નિયામક પ્રકાશ વાઘેલાએ જારી કરેલાં આ પરિપત્રમાં જણાવાયું છે કે, તબીબો પોતાના પેશન્ટને જરૂર ન હોય તો પણ ટેસ્ટ કરાવાતાં હોય છે અને જરૂરીયાતમંદ દર્દી ટેસ્ટથી વંચિત રહે છે તેથી આ હુકમ કરાયો છે.
જે દર્દીની સર્જરી કે સારવાર પૂર્વે જે-તે હોસ્પિટલે પોતાના લેટરહેડ દ્વારા સંબંધિત આરોગ્ય અધિકારીને પ્રિસ્ક્રિપ્શન મોકલી દર્દીની સારવાર પૂર્વે કોરોના ટેસ્ટની મંજૂરી મેળવવા રિક્વેસ્ટ ફોર્મ મોકલવાનું રહેશે. સંબંધિત અધિકારી આ ફોર્મની ચકાસણી કરી દર્દીને ટેસ્ટની જરૂર ચકાસી તેને માત્રને માત્ર સરકારી લેબમાં જ ટેસ્ટ માટે રિફર કરશે. જો સરકારી લેબમાં કાર્યભારણ વધુ હોય તો જ તે દર્દીનો ટેસ્ટ ખાનગી લેબમાં કરાવવાની મંજૂરી અપાશે.
AMAના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઇએ જણાવ્યું હતું કે, દર્દીની સારવાર પહેલા કોરોનાના સેમ્પલ અને ફોલોઅપ ટેસ્ટીંગની પરમીશન લેવા માટેનો પરિપત્ર અવ્યવહારુ છે. કારણ કે, લેબર પેઇન સાથે પ્રસૃતા આવે કે બ્રેઇન શોક અને અકસ્માતનાં ઇમરજન્સી કેસમાં સર્જરી કરવી જરૂરી હોય તેવા કિસ્સામાં પરમિશન લેવાનો સમય રહેતો નથી.