![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/આમ-આદમી-પાર્ટીને-મોટો-ઝાટકો.jpg)
આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો આ ધારાસભ્ય સત્તાવાર રીતે ભાજપમાં જાેડાશે
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ એક્શન મોડમાં આવી રહ્યો છે અને રાજ્યની તમામે તમામ ૨૬ સીટો સતત ત્રીજીવાર જીતવા માટે મેદાને પડ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મજબૂત નેતા તેના ટાર્ગેટ ઉપર છે અને જેમાં ઉત્તરાયણમ પહેલાં બે વિકેટ પાડી દેવામાં આવી હતી. જેમાં હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં કઈ તારીખે જાેડાવવાના છે તેનું એલાન થઈ ચૂક્યું છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ તાજેતરમાં જ ભરૂચ આવ્યા હતા અને લોકસભાની ચૂંટણીને લઈ લલકાર કરી હતી ત્યારે હવે આપ પાર્ટીના ધારાસભ્ય કેસરિયા કરવા જઈ રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢની વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીએ ભૂપત ભાયાણીને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા તેમની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા હર્ષદ રિબડીયાને મેદાનમાં ઉતાર્યા હતા. જાે કે, ભાયાણી મેદાન મારી ગયા હતા અને કોંગ્રેસ તેમજ ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. જાે કે, એક વર્ષ બાદ ભાયાણીને આમ આદમી પાર્ટીથી મોહભંગ થઈ ગયો હતો અને ગત ૧૩મી ડીસેમ્બરના રોજ તેમને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપી દીધું હતું. હવે ભાયાણી સત્તાવાર રીતે ભાજપમાં જાેડાઈ શકે છે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આગામી ૩જી ફેબ્રુઆરીના રોજ વિસાવદરમાં જ આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલની હાજરીમાં તેઓ કેસરિયા કરશે. બાદમાં ખંભાતના ધારાસભ્ય કે જેમને રાજીનામું આપ્યું છે તેવા ચિરાગ પટેલ પણ આગામી સમયમાં કેસરિયા કરી શકે છે.