Home / News / દારૂનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી : કડજોદરાના સરપંચે દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસમાં રજુઆત
દારૂનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી : કડજોદરાના સરપંચે દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસમાં રજુઆત
દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં દેશી દારૂ પીધા બાદ દસેક વ્યક્તિઓની હાલત લથડી પડી હતી. 10 પૈકી બે વ્યક્તિઓના દારૂ પીવાના કારણે મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી દેશી તેમજ વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. પોલીસની હપ્તારાજની નીતિના કારણે દારૂની બધી બેફામ બની છે હોવાનું પણ લોકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે, ત્યારે ગઈકાલે બનેલી ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં પોલીસની નિષ્ક્રિયતા સામે ભારે નારાજ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ પંથકના ગામડાઓમાં પણ દારૂનું વેચાણ બંધ કરાવવાની માંગ ઉગ્ર બની રહી છે. માત્ર કાગળો પર સબસલામતના દાવા કરતી પોલીસની હવા કાઢી નાખતા કિસ્સા સામે આવી રહ્યા છે. કડજોદરા આસપાસના પેટાપરાના ગામોમાં દેશી વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવવા સરપંચને સ્થાનોકોએ કરેલી રજૂઆતના પગલે અરવિંદસિંહ ઝાલા ઘ્વારા રખિયાલ પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવામાં આવી છે.
![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/કડજોદરાના-સરપંચે-દારૂના-02.jpg)
આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ગુજરાતભરમાં દારૂબંધી માત્ર કાગળ પરના વાઘ જેવી સાબિત થઇ રહી છે. દારૂના રવાડે ચડેલા અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે તેમ છતાં દારૂબંધીની અસરકારક અમલવારી કરવામાં પોલીસ તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. લીહોડા ગામે દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત બાદ સમગ્ર પંથકમાં ભારે હોહા મચી જવા પામી છે. હવે લિહોડા પંથક જ નહીં પરંતુ દહેગામ તાલુકાના સંખ્યાબંધ ગામડાઓમાં બુટાલેગરો દ્વારા કરવામાં આવતું દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કડજોદરા ગામના સરપંચ અરવિંદસિંહ ઝાલા દ્વારા પણ રખિયાલ પોલીસમાં રજુઆત કરી કડજોદરા ગ્રામ પંચાયતના વિસ્તારોમાં દેશી વિદેશી દારૂના અડ્ડા અને તેનું વેચાણ બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. કડજોદરા ગ્રામ પંચાયત વિસ્તારના અનેક ગ્રામજનો દ્વારા તેમના ગામમાં ચાલતા દારૂનું વેચાણ બંધ કરાવવા માટે મળેલી રજૂઆતને ધ્યાને લઈ આ અંગે પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.