![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/011-9.png)
પાંચ હજારથી ઓછા માર્જિન પર મળી હતી જીત, ભાજપને સૌથી મોટો ડર સૌરાષ્ટ્રની આ બેઠકો પર
ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રની ૯ બેઠકો પર હાર-જીતનો ફેસલો માત્ર પાંચ હજારથી ઓછાં મતોના તફાવતથી તથા 7 બેઠકોનો ફેંસલો પાંચ હજારથી દશ હજાર મતોના તફાવતથી થયો હતો. આ 16 બેઠકો પૈકી 12 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી જ્યારે તથા ૭ બેઠકો ભાજપના ઉમેદવારો માંડ માંડ જીતી શક્યા હતા એવા તારણને કારણે ભાજપ- કોંગ્રેસ બન્ને દ્વારા થોડા થોડા ફેરફાર કરવા પડ્યા છે. જેનુ પરિણામ અસરકારક બની રહે તેવા અણસાર છે.
ગુજરાતમાં ભાજપને ૯૯ અને કોંગ્રેસને ૭૭ બેઠકો આપી ગયેલાં 2017નાં પરિણામ વખતે સૌરાષ્ટ્રમાં ૪૮ બેઠકો પૈકી એનસીપીને ૧, કોંગ્રેસને ૨૮ અને ભાજપને 19 એવુ એક અલગ પરિણામ જોવા મળ્યુ હતુ. ૪૮માંથી ૧૬ બેઠકમાં 10 હજારથી ઓછા માર્જિનવાળા પરિણામો મળ્યા હતા, જે 16 પૈકી 12 બેઠક કોંગ્રેસના ખાતાંમાં પડી હતી. જો કે, ત્યારથી માંડીને હાલ સુધીમાં ભાજપે આ પૈકી મોરબીમાં ત્યારે જીતેલા બ્રિજેશ મેરજાને અને જસદણમાં વિજેતા થયેલા કુંવરજી બાવળિયાને ભાજપમાં ભેળવી લઈ પેટા ચૂંટણીમાં બંને બેઠક કબજે કર્યા બાદ આ વખતે પણ જસદણમાં તો એ જ ઉમેદવારને રીપીટ કર્યા છે, જ્યારે જામનગર ગ્રામ્યમાં પક્ષ બદલનાર મૂળ કોગ્રેસી વલ્લભ ધારવિયા તો ભાજપમાથી પેટાચૂંટણી ન જીતી શક્યા પરંતુ એ પેટાચૂંટણીના વિજેતા કોગ્રેસી રાધવજી પટેલને જ પછીથી ભાજપમા ભેળવી લઈ હાલ તેમને પણ ટિકિટ આપવામા આવી છે.
એ સિવાય, જૂનાગઢ, ઉના, લાઠી, સાવરકુંડલા, ગઢડા, દસાડા અને રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર બદલી નખાયા છે, તો ૨૦૧૭માં પરાજિત વાંકાનેરના જીતુ સોમાણી, તળાજાના ગૌતમ ચૌહાણ અને જામજોધપુરમાં ચીમન શાપરિયાને ફરી તક આપી છે, જ્યારે દ્વારકા ઉપરાંત ખાસ તો પોરબંદર અને ગારિયાધાર બેઠક નાની સરસાઈથી જીતેલા જૂના જોગીઓ પર પુનઃ મદાર રાખ્યો છે.