![corona](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/images-3.jpg)
સુરતમાં પોઝિટિવ કેસનો આંક 6232 પર પહોંચ્યો, મૃત્યુઆંક 238 અને કુલ 3777 રિકવર થયા.
મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 6232 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 238 થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી 122 અને જિલ્લાના 22 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 3777 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ડોક્ટર, એસએસઆઈ, હેલ્થ વર્કર, પીએસઆઈ, બેંક કર્મચારી, આર્કિટેકટ તેમજ બેંક કર્મચારીનો સમાવેશ થયો છે.
નવી સિવિલ કેમ્પસ અને કતારગામ વિસ્તારમાં રહેતા સિવિલ હોસ્પિટલના બે તબીબો સંક્રમિત થયા છે. તેવી જ રીતે કતારગામ વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા એક તબીબ અને વરાછા વિસ્તારમાં રહેતા નવસારી કૃષી યુનિવર્સીટીના પશુઓના ડોક્ટર પણ સંક્રમિત થયા છે.
સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા L&Tના વધુ એક એન્જિનિયર સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતા L&Tના અન્ય એક કર્મચારી પણ સંક્રમિત થયા છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને સચીન પોલીસ મથકમાં ફરજ બજાવતા PSIને પણ ચેપ લાગ્યો છે.
રાંદેર વિસ્તારમાં રહેતા પોસ્ટના એજન્ટ, સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા LIC એજન્ટ તેમજ લિંબાયત વિસ્તારમાં રહેતા અને અડાજણ ICICI બેંકના કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા અને પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતા SSI પણ સંક્રમિત થયા છે. આ સાથે વરાછા વિસ્તારમાં રહેતા અને પાલિકાના વેસુ યુનિટમાં ફરજ બજાવતા હેલ્થ વર્કર પણ સંક્રમિત થયા છે.