ડુંગળીના ભાવ છૂટકમાં રૂપિયા 100એ પહોંચતાં સરકારે લાગુ કર્યા
કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ પર કાપ મુકી દીધો છે, જેને પગલે એક ચોક્કસ લિમિટથી વધુ પ્રમાણમાં ડુંગળીનો સંગ્રહ કોઇ વ્યાપારી નહીં કરી શકે. આમ થવાથી ડુંગળી સસ્તી થવાની શક્યતાઓ છે. સરકારનો આ આદેશ શુક્રવારથી જ અમલમાં આવી ગયો છે જે આગામી 31મી ડિસેમ્બર સુધી જારી રહેશે.
નવા આદેશ મુજબ હવેથી છુટક વ્યાપારીઓ માત્ર બે ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે, તેનાથી વધુ કરશે તો પગલા લેવામાં આવશે. જ્યારે જથૃથાબંધ વ્યાપારીઓ 25 ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે. હાલમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને 75 રૂપિયાની કિમતે એક કિલો ડુંગળી વેચાય છે. જેને પગલે આમ નાગરિકો અને ગરીબોના દૈનિક જીવન પર માઠી અસર જોવા મળી છે.
હાલમાં ખેડૂતો દ્વારા જે ત્રણ કાયદાઓનો વિરોધ થઇ રહ્યો હતો તેમાં એસેન્સિયલ કોમોડિટી સુધારા એક્ટ 2020નો પણ સમાવેશ થાય છે. જેમાં સરકારે એસેન્સિયલ વસ્તુઓમાંથી ડુંગળીની બાદબાકી કરી નાખી હતી, જેને પગલે વ્યાપારીઓને તેનો સંગ્રહ કરવાનો છુટ્ટોદોર મળી ગયો હતો. આ મામલાનો ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા હતા.
હવે એક આદેશ જાહેર કરીને કહ્યું છે કે ડુંગળીના વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને તેના સંગ્રહ પર એક ચોક્કસ લિમિટ મુકવામાં આવે છે. અને આ નિર્ણય જ્યારે પણ કોઇ વસ્તુઓના ભાવ વધશે તો તે સંદર્ભે પણ આ જ રીતે લેવામાં આવશે. હાલ ડુંગળીનો ભાવ ગત વર્ષની સરખામણીએ 22.21 ટકા વધી ગયો છે. જેને પગલે સરકારે આ નિર્ણય લેવો પડયો છે.