![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/somnathtemple2-1595332330.jpg)
સોમનાથ મંદિરમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
સોમનાથ : કોરોના ગ્રહણ વચ્ચે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ગુજરાતભરના શિવ મંદિરોમાં આજે ભક્તો માટે અનેરો દિવસ છે. ગુજરાતમાં સૌથી વધુ આકર્ષણ સોમનાથના મંદિરનું હોય છે. પરંતું ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે કોવિડની ગાઈડલાઇનના ધજાગરા ઉડેલા જાેવા મળ્યા હતા. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ જામી હતી. તો સાથે જ ધક્કામુક્કી અને ટોળા થવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બનીને જાેતા રહી ગયા. કોવિડની ગાઈડ લાઈનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટ અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે ૬. ૩૦ના બદલે ૬.૦૦ વાગ્યે ખોલવામાં આવળશે. તો સાંજે ૭.૩૦ ના બદલે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે. પવિત્ર શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને શનિવાર, રવિવાર અને સોમવારના દિવસોમાં સવારે ૬ઃ૦૦ થી ૬ઃ૩૦ અને સાંજે ૭ઃ૩૦ થી ૦૯ઃ૧૫ સુધી વિશેષ દર્શનનો સમય રહેશે. સામાન્ય દિવસોમાં સવારે ૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને બપોરે ૧૨ઃ૩૦ થી ૬ઃ૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. રાજ્ય સરકારના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ધાર્મિક સ્થાનો માટે અગાઉની ગાઇડલાઇન જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થાનો અને શિવમંદિરોને જુની ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન કરવા સુચના અપાઈ છે. જરૂર પડે તો જે-તે જીલ્લા કલેક્ટર પોતાના જિલ્લાની સ્થિતિ મુજબ નોટિફિકેશન બહાર પાડી શકશે. મંદિર અને ધાર્મિક સ્થાનોમા પણ તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગેરેના નિયમોનુ પાલન કરવુ પડશે. જુની ગાઇડલાઇન મુજબ મંદિરમાં પ્રસાદ પણ નહિ અપાય.