![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/phpThumb_generated_thumbnail-8.jpeg)
સુરત : પોઝિટિવ કેસનો આંક ૯૩૩, સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત ૨૪ દર્દીની હાલત ગંભીર
રખેવાળ, સુરત.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૯૩૩ પર પહોંચી ગયો છે. ગત રોજ એક ૯૦ વર્ષના વૃદ્ધાના મોતના પગલે મત્યુઆંક ૩૯ પર પહોંચી ગયો છે. જોકે, સારા સમાચાર એ છે કે, ગત રોજ સિવિલ હોસ્પિટલની તબીબ અને સ્ટાફ નર્સ સહિત શહેર જિલ્લામાં કોરોનાને માત આપી ૬૨ દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૫૩૦ વ્યક્તિઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. જેથી રિકવરી રેટ ૫૭ ટકા જેટલો થઈ ગયો છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ૨૨૮ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૫ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૨- વેન્ટિલેટર, ૮- બીપેપ અને ૧૪ દર્દી ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
કોરોનાની સામે જંગ લડી રહેલી સિવિલ હોસ્પિટલની તબીબ અને સ્ટાફ નર્સ સહિત શહેરના ૬૧ અને જિલ્લામાં ૧ દર્દી મળી કુલ ૬૨ દર્દીઓને રવિવારે રજા આપવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબ ડો. ખુશાલી જે શ્રોફ(૨૫) નો ગઈ તા.૨૩મી એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને દાખલ કરાયા હતા. રવિવારે તેઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. તેવી જ રીતે સિવિલમાં ફિઝિયોથેરાપી કોલેજમાં રહેતા અને સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા કાંતાબેન ભરતભાઈ ચૌહાણ(૫૮)નો પણ ગઈ તા.૨૭ એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને પણ દાખલ કરાયા હતા. રવિવારે તેઓ પણ સાજા થતા તેમને પણ રજા આપી દેવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૫૩૦ દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે.