![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/jpg-1.jpg)
UPSCના સૌરાષ્ટ્રના પરિક્ષાર્થીઓ માટે સોમનાથ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે
અમદાવાદ ખાતે રવિવારે યોજાનારી (યુપીએસસી)ની લેખિત પરીક્ષામાં સૌરાષ્ટ્રભરના ઉમેદવારો સમયસર હાજર રહી શકે તે માટે રેલવે તંત્ર દ્વારા સોમનાથ-અમદાવાદ-સોમનાથ ખાસ ટ્રેન દોડાવવામાં આવનાર છે. રેલવે તંત્રની યાદીમાં જણાવ્યા મુજબ, અમદાવાદ યુપીએસસીની પરીક્ષા રવિવારે યોજાનારી હોય તે માટે તા.3ને શનિવારે રાત્રે 9.30 વાગે સ્પે. ટ્રેન સોમનાથથી રવાના થશે જે રાજકોટ ખાતે મધરાત્રે 1.10 કલાકે પહોંચશે. સુરેન્દ્રનગર ખાતે મોડીરાત્રે 2.50 વાગે પહોંચશે. વિરમગામ વહેલી સવારે 4.15 વાગે અને અમદાવાદ 5.30 કલાકે પહોંચશે.
વળતા આ ટ્રેન નં. 09202 અમદાવાદ-સોમનાથ સ્પે. ટ્રેન રવિવારે તા.4થીએ રાત્રે અમદાવાદથી 9.10 કલાકે ઉપડશે જે વિરમગામ રાત્રે 10.10 વાગે, સુરેન્દ્રનગર રાત્રે 11.05 વાગે રાજકોટ મધરાત્રે 1.10 અને સોમનાથ સવારે 5.5 કલાકે પહોંચશે. 10 કોચની આ ટ્રેનમાં 4 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન લગાવવામાં આવશે. આ ટ્રેનમાં ઉમેદવારો સિવાયના યાત્રીઓને પણ પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના મહામારીની આરોગ્ય તપાસ માટે યાત્રીઓએ ટ્રેનના સમય પહેલા દોઢ કલાકે સ્ટેશને પહોંચી જવું પડશે.
\આવતી કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 3300થી વધુ પરિક્ષાર્થીઓ યુપીએસસીની ફર્સ્ટ એટેમ્પ્ટ પરિક્ષા આપશે. પરિક્ષા લેવા માટે થઈને ગુજરાત રાજ્ય સરકારે વધારાના અધિકારીઓ રાજકોટમાં મુકવાનું નક્કી કર્યું છે. અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, યુપીએસસીની પરિક્ષા સંદર્ભે રાજકોટ શહેરના 12 કેન્દ્રો એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કે કોરોના મહામારી વચ્ચે પરિક્ષાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવાનું ફરજિયાત છે. સાથોસાથ પરિક્ષા બાદ વર્ગખંડને સેનિટાઈઝ કરવા ઉપરાંત દરેક પરિક્ષાર્થીને માસ્ક અને સેનિટાઈઝ કરવા સહિતની તમામ જરૂરી કાળજીઓ લેવામાં આવનાર છે.