શંખલપુર મંદિરમાં ચૈત્ર સુદ ચૌદશથી સદાવ્રત શરૂ કરાશે
બહુચરાજી તાલુકાના યાત્રાધામ શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે કોરોના મહામારી દરમિયાન 25 વર્ષથી ચાલતું સદાવ્રત કોવિડ ગાઇડલાઇન મુજબ બંધ રખાયું હતું.ત્યારે વર્તમાન સમયમાં છુટછાટ આપવામા આવતા બે વર્ષ બાદ આગામી ચૈત્ર સુદ ચૌદસને 15 એપ્રિલથી પુનઃ કાયમી ધોરણે શરૂ કરવાનો નિર્ણય શંખલપુર ટોડા બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.આ મેળામાં હજારો શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શન કરવા શંખલપુર પધારતા હોય છે.જેમને નિ:શુલ્ક ભોજનપ્રસાદ મળી રહે તે માટે કોરોનાકાળમાં બંધ રખાયેલી નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા 14 એપ્રિલથી કાયમી ધોરણે પુનઃ શરૂ કરી રહ્યા છીએ.જેમાં ચૈત્ર સુદ ચૌદસ પ્રથમ દિવસે ભોજનદાતાનો લાભ ઉદ્યોગપતિ નરભેરામભાઈ માવજીભાઈ સોરીયા (ઘુંટુ-મોરબી) અને બાબુભાઈ કાનજીભાઈ પટેલ (શંખલપુર-સુરત) તેમજ ચૈત્રી પૂનમના દિવસના ભોજનદાતાનો લાભ સુખડિયા પરિવાર (સાણંદ)એ લીધો છે. મંદિરમાં યાત્રિકોને ભોજન ઉપરાંત પીવાનું પાણી, ન્હાવા-ધોવાની સહિતની વ્યવસ્થા શંખલપુર મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના પ્રાગટ્ય દિવસ ચૈત્રી પૂનમને 16 એપ્રિલે માઇભક્ત નરભેરામભાઈ માવજીભાઈ સોરીયા પરિવાર તરફથી રૂ.20 લાખના ખર્ચે તૈયાર કરાયેલ સોનાની આંગી મા બહુચરને ચઢાવવામાં આવશે.જ્યારે સમગ્ર મંદિરને ફૂલોનો નયનરમ્ય શણગાર અમદાવાદના માઇભક્ત હસમુખભાઈ માળી દ્વારા કરવામાં આવનાર છે.