![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/410-18.png)
રેશ્મા પટેલે NCPમાંથી આપ્યુ રાજીનામું નારાજગીનો દોર યથાવત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આમ, ગુજરાતમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે. જો કે, આ દરમિયાન ટિકિટને લઈને ઉમેદવારોની નારાજગી તથા વિરોધ પણ સામે આવી રહ્યો છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓનો પક્ષપલટો પણ શરૂ થઈ ગયો છે. ત્યારે વધુ એક નારાજ ઉમેદવાર રેશ્મા પટેલે NCPમાંથી રાજીનામું આપી દીધુ છે. રેશ્મા પટેલે NCPના તમામ સભ્યોપદેથી રાજીનામું આપી દીધુ છે.
રેશ્મા પટેલે NCPથી ગોંડલ બેઠક માટે ટિકિટ માંગી હતી પરંતુ NCP અને કોંગ્રેસના 3 બેઠકના ગઠબંધનને કારણે ટિકિટ મળવાનો કોઈ રસ્તો રહ્યો નહોતો તેથી તેઓ આ ગઠબંધનથી નારાજ હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હવે રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો પણ સંપર્ક કર્યો હોવાની માહિતી મળી રહી છે.આ અગાઉ કાંધલ જાડેજાએ પણ પોતાની નારાજગીના કારણે NCPમાંથી રાજીનામું આપી દીધું હતું. કાંધલ જાડેજા છેલ્લા 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય હતા. કાંધલ જાડેજા 2012માં NCPમાં જોડાયા હતા.