![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/rkt_1600058180.jpg)
રાજકોટ-ભાવનગરથી મુંબઈની ફ્લાઈટ શરૂ, વોટરકેનનથી નવી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું
પાંચ મહિના બાદ આજથી રાજકોટ-મુંબઈ અને ભાવનગર-મુંબઈની ફ્લાઈટ શરૂ થઈ છે. નવી ફ્લાઈટ શરૂ થતાં રાજકોટ એરપોર્ટ પર વોટર કેનનથી ફ્લાઈટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પાઈસ જેટની નવી ફ્લાઈટ આજથી શરૂ થઈ છે. જે ફ્લાઈટ આજે સવારે મુંબઈથી રાજકોટ આવી પહોંચતા વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ-મુંબઈ વચ્ચે ફ્લાઈટ શરૂ થતાં રાજકોટ અને મોરબીના વેપારીઓને મુંબઈ જવા-આવવામાં ફાયદો થશે.
એર ઇન્ડિયા દ્વારા આજથી સોમવાર, ગુરુવાર અને શનિવારે ભાવનગર-મુંબઇ વચ્ચેની સીધી ફ્લાઇટ ફરી શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઈટ મુંબઈથી 8.45 વાગ્યે ઉપડી ભાવનગર 10 વાગ્યે પહોંચશે. ભાવનગરથી 10.35 વાગ્યે ઉપડશે અને મુંબઇ 11.50 વાગ્યે પહોંચશે.
10 સપ્ટેમ્બરે સવારે 8.30 વાગ્યે રાજકોટથી મુંબઈની સ્પાઈસ જેટની ફ્લાઈટ ઉપડવાની હતી. પણ યાત્રિકોની સંખ્યાના અભાવે ફ્લાઈટ રદ્દ થઈ હતી. જેને લઈને યાત્રિકો અટવાયાં હતા અને રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે અગાઉ 1 જુલાઈથી આ ફ્લાઈટ શરૂ થવાની હતી. ત્યારબાદ ઓગસ્ટમાં, પછી 10 સપ્ટેમ્બરથી અને હવે ફરી શિડ્યુલ બદલી દેતા રાજકોટ-મુંબઈ વચ્ચે આજથી ફ્લાઈટ શરૂ થઈ છે.
રાજકોટ-મુંબઈની ફ્લાઈટ શરૂ થયા બાદ હવે રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. દિલ્હીની ફ્લાઈટ શરૂ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સંભવત: 18મીથી રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ સવારે 9.30 કલાકે ઉડાન ભરશે.