![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/pak_1600251298.jpg)
પાકિસ્તાને ભારતીય જળસીમામાં ઘૂસી બંદૂકના નાળચે પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 45 માછીમારનું અપહરણ કર્યું
પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમામાં ઘૂસીને બંદૂકના નાળચે પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 45 માછીમારનું અપહરણ કર્યું છે. તમામ માછીમારોને પાકિસ્તાન બંદર પર લઈ જવામાં આવ્યા છે.
કોરોનાની મહામારી વચ્ચે માછીમારો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે આજે પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા સૌરાષ્ટ્રની 8 બોટ સાથે 45 માછીમારનું અપહરણ કરવામાં આવ્યું છે. તમામ માછીમારોને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામાં આવતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી કરી છે. પરિવારજનોએ સરકારને તમામ માછીમારોને પરત લાવવા માગણી કરી છે.
મહત્ત્વનું કે ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો છે. જ્યારે પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં ખોટી રીતે ઘૂસણખોરી કરીને માછીમારોનું અપહરણ કરે છે. ત્યારે પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને કારણે માછીમારો અને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે ભારતીય કોસ્ટ ગાર્ડ પણ સતર્ક થયું છે.
ફેબ્રુઆરીમાં પાકિસ્તાને સૌરાષ્ટ્રની 3 બોટ સાથે 17 માછીમારોનું અપહરણ કર્યું હતું. સૌરાષ્ટ્રની કેટલીક બોટો અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહી હતી. તે દરમિયાન પાક મરીન સિક્યુરિટીની પેટ્રોલિંગ શીપ આવી હતી અને બંદુકના નાળચે 3 બોટ અને 17 માછીમારોનું અપહરણ કરી અને તેમને કરાંચી તરફ લઇ ગઈ હતી. ત્યારે આજે પાકિસ્તાને વધુ 45 માછીમારોનું અપહરણ કર્યું છે. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.