વડોદરામાં કોરોના સંક્રમણના કારણે રાતના 7 વાગ્યાથી બજારો બંધ કરવા મેયર અને CPને વેપાર વિકાસ એસોસિએશનની અપીલ
વડોદરામાં કોરોનાના સંક્રમણને નાથવા માટે સાંજે 7 વાગ્યા પછી વડોદરાના બજારો બંધ કરાવવા માટે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા મેયર અને પોલીસ કમિશનરને અપીલ કરી છે. એસોસિએશને જણાવ્યું છે કે, વડોદરામાં દિવસે લોકો દંડના ડરથી માસ્ક પહેરે છે. પરંતુ, સાંજે 6 વાગ્યા પછી 60 ટકા લોકો માસ્ક પહેર્યા વગર ફરવા માટે નીકળી રહ્યા છે.
વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના અગ્રણી પરેશ પરીખે જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. વડોદરામાં કોરોનાના કેસો બેકાબુ બની ગયા છે. લોકો કોરોના જતો રહ્યો હોય તેમ ફરી રહ્યા છે. વડોદરા વેપાર વિકાસ મંડળ દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે અઢી માસ પૂર્વે જ તંત્રને લેખિતમાં જણાવ્યું હતું કે, વડોદરાના વેપારીઓ લોકડાઉન કરવા તૈયાર છે. માત્ર કડક હાથે તેનો અમલ કરાવવાની જરૂર છે. અમને ખબર છે કે, કોરોનાના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. પરંતુ, કોરોનાની મહામારીને અટકાવવા માટે એકમાત્ર ઉપાય બજારો સાંજે 7 વાગ્યા પછી બંધ કરાવવામાં આવે. લોકો દિવસે દંડ ન ભરવો પડે તે માટે માસ્ક પહેરીને નીકળે છે. સાંજ પછી લોકો માસ્ક પહેર્યા વગરજ નીકળી પડે છે. અમારા સર્વે પ્રમાણે 60 ટકા લોકો સાંજે માસ્ક પહેર્યા વગર ફરતા હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અલકાપુરી, સયાજીગંજ, માંડવી, ન્યાયમંદિર, રાવપુરા રોડ સહિતના વિસ્તારોમાં લોકો માસ્ક પહેર્યા વગર ટોળામાં ફરે છે. સોશિયલ ડિસ્ટન્સ માત્ર વાતો છે. દિવસ દરમિયાન લોકો પોતાના કામો પૂરા કરીને સાંજ પછી ફરવા નીકળી પડતાં હોય છે. જેના કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વડોદરા શહેરમાં ચિંતાજનક રીતે કોરોના કેસો વધી રહ્યા છે. જો હમણાં કોરોનાના કેસો ઉપર કાબુ મેળવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોરોના કેસો ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. માટે સાંજે 7 વાગ્યા પછી તમામ બજારો બંધ કરાવવા સરકાર તેમજ સ્થાનિક તંત્રને અમારી અપીલ છે.
વડોદરાના ફૂટવેર મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ચૌહાણે જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોના કેસો દિવસે-દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આથી વડોદરાના બજારો સાંજે 7 વાગ્યાથી બંધ કરાવી દેવા જોઇએ. કોરોનાના કારણે લોકોના ધંધા પડી ભાગ્યા છે. વેપાર-ધંધો રહ્યો નથી. આથી વેપારીઓ પણ સાંજે 7 વાગ્યા પછી પોતાની દુકાનો, શોરૂમો બંધ રાખવા માટે તૈયાર છે. જો વડોદરામાં સાંજે 7 વાગ્યા પછી બજારો બંધ કરાવવાનો આદેશ જારી કરવામાં આવે તો હું ચોક્કસપણે માનું છું કે, વડોદરામાં ચોક્કસ પણે કોરોનાના કેસોમાં ઘટાડો થશે. સરકારે વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇ માત્ર વડોદરામાં જ નહીં. પરંતુ, સમગ્ર ગુજરાતમાં સાંજે 7 વાગ્યા પછી બજારો બંધ કરાવી દેવા જોઇએ. જો સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા અત્યારથી જાગે નહીં તો આવનારા દિવસોમાં કોરોના અજગરી ભરડો લેશે.